દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) વીકે સક્સેનાએ છાવલા રેપ અને હત્યા કેસમાં આરોપીઓને નિર્દોષ જાહેર કરવા સામે રિવ્યુ પિટિશન દાખલ કરવાની મંજૂરી આપી છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આ મામલે સરકાર તરફથી સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતા અને એડિશનલ સોલિસિટર જનરલ એશ્વર્યા ભાટીને નિયુક્ત કરવાની પણ મંજૂરી આપી દીધી છે. ફેબ્રુઆરી 2021માં દ્વારકાના છાવલામાં એક 19 વર્ષીય મહિલા સાથે થયેલ જઘન્ય રેપ અને હત્યા મામલે 3 આરોપીઓને નીચલી અદાલતમાં ફાંસીની સજા સંભળાવી હતી.
દિલ્હી હાઈકોર્ટે પણ આ નિર્ણયને યથાવત રાખ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે 7 નવેમ્બરના રોજ સંભળાવવામાં આવેલા પોતાના નિર્ણયમાં ત્રણેય આરોપીઓને મુક્ત કરી દીધા હતા. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ ઘણી બાજુથી તેના પર પુનર્વિચાર કરવાની માંગ ઉઠી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાજ્યસભા સાંસદ અનિલ બલુનીએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાને છાવલા ગેંગ રેપ અને મર્ડર કેસમાં રિવ્યુ પિટિશન દાખલ કરવા માટે અનુરોધ કર્યો હતો. સાંસદ બલુનીએ કહ્યું હતું કે, ‘હું પીડિતાના માતા-પિતા સાથે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને મળ્યો હતો અને તેમને વિનંતી કરી હતી કે, દિલ્હી સરકાર આ કેસમાં પક્ષકાર છે. તેથી આ મામલે રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવે જેથી આરોપીઓને કડક સજા થઈ શકે. બલુની ઉત્તરાખંડના રાજ્યસભાના સાંસદ છે.
જ્યારે ટ્રાયલ કોર્ટમાં મૃત્યુદંડની સજા પામેલા ત્રણ લોકોને નિર્દોષ જાહેર કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે, ફરિયાદ પક્ષ આરોપીઓ સામે નક્કર, નિર્ણાયક અને સ્પષ્ટ પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યું છે. આ ત્રણેય શખ્સો પર ફેબ્રુઆરી 2012માં 19 વર્ષની મહિલાનું અપહરણ, ગેંગરેપ અને હત્યાનો આરોપ લગાવ્યો હતો. તેનું અપહરણ કર્યાના ત્રણ દિવસ બાદ તેની વિકૃત લાશ મળી આવી હતી.