સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાનને ફરી વેગવંતું બનાવવા માટે નિર્દેશ આપ્યા છે. જળ સંચયના કામો હાથ ધરવા માટે આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી. જેમાં સીએમ રૂપાણીએ અભિયાનને વેગ આપવા માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. વધુ માહિતી જોઇએ આ અહેવાલમાં.
જળ સંચયના કામો હાથ ધરવા માટે આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી. જેમાં સીએમ રૂપાણીએ અભિયાનને વેગ આપવા માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. રાજ્યમાં 23 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત 13 હજાર 834 કામોમ 330 કરોડના ખર્ચે હાથ ધરાઈ રહ્યા છે. આ અભિયાન અંતર્ગત 14હજાર લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતા વધારવાનું લક્ષ્ય છે…ત્યારે ગ્રામ્યની સાથે સાથે શહેરી વિસ્તારોમાં પણ જળ સંચયના કામો ત્વરીત કરવા માટે સીએમ રૂપાણીએ સૂચના આપી છે.
તમને જણાવી દઇએ કે, હાલ ગુજરાતમાં પાણીની સ્થિતિ અતિ ગંભીર બની રહી છે. ત્યારે આંકડાઓ પર નજર કરીએ તો નર્મદા ડેમને બાદ કરતાં મોટા ભાગના ડેમ તળિયા ઝાટક બન્યા છે. સૌરાષ્ટ્ર અને આદિવાસી પટ્ટીમાં પાણીની સ્થિતિ વધુ વિકટ બની છે. ચરોત્તરને બાદ કરતા ગુજરાતમાં પણ પીવાના પાણીની સ્થિતિ ગંભીર બની છે.
સૌરાષ્ટ્રના ડેમમાં માત્ર 10 ટકા જ પાણી બચ્યું છે. જ્યારે કચ્છના ડેમમાં માત્ર 13 ટકા જ પાણી બચ્યું છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં ડેમમાં 16 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. તો દક્ષિણ ગુજરાતના ડેમમાં માત્ર 22 ટકા જ પાણી રહ્યું છે. જ્યારે નર્મદા ડેમમાં કુલ 50 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. આ તરફ મધ્ય ગુજરાતના ચરોતરમાં પાણીની સ્થિતિ થોડી સારી છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર, બોટાદ, દ્વારકાના તમામ ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે.તો અમદેલીના ડેમમાં 6 ટકા અને ભાવનગરમાં 7 ટકા જેટલું પાણી બચ્યું છે. તો જૂનાગઢમાં 8 ટકા, રાજકોટમાં 9 ટકા જ્યારે ગીર-સોમનાથના ડેમમાં 20 ટકા જેટલું પાણી છે.
આ તરફ નવસારી, તાપી અને વલસાડના ડેમમાં 12 ટકા પાણી છે. તો છોટાઉદેપુરમાં 6 ટકા, દાહોદમાં 17 ટકા, બનાસકાંઠામાં માત્ર 4 ટકા જ પાણીનો જથ્થો રહ્યો છે. ઉનાળો એક તરફ આગળ વધી રહ્યો છે. તો બીજી તરફ પાણીની સ્થિતિ ઘણી વિકટ બની રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી માટે લોકો વલખાં મારી રહ્યાં છે. કુવાના તળિયા પણ ઉંડા જતાં લોકોએ કિલોમીટરો સુધી ચાલવું પડે છે.
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તાપી ડેમમાં 20 ટકા પાણી વધ્યું છે. તો આ તરફ કડાણા અને પાનમ ડેમમાં 53 ટકા પાણી બચ્યું છે. તો ઉત્તર ગુજરાતમાં દાંતિવાડા ડેમમાં 7 ટકા પાણી, ભાદરમાં 7 ટકા અને સીપુ ડેમમાં 9 ટકા પાણી રહ્યું છે. જામનગરનો ઉંડ ડેમ તળિયા ઝાટક થયો છે. તો મચ્છુ ડેમમાં 16 ટકા અને સુખીમાં 13 ટકા તેમજ શેત્રુંજુ ડેમમાં માત્ર 13 ટકા જ પાણીનો જથ્થો રહ્યો છે.