નવી દિલ્હી: રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન દ્વારા બંધારણીય પીઠ અને જસ્ટિસ યૂ.યૂ સામે સવાલ ઉભા કર્યા હતા. ત્યારપછી હવે આ કેસની સુનાવણી 29 જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી છે. હવે પાંચ જજની બેન્ચમાં જસ્ટિસ યૂ.યૂ લલિત સામેલ નહીં થાય અને નવી બેન્ચનું ગઠન કરવામાં આવશે. જસ્ટિસ યૂ.યૂ લલિતે પણ તેમને આ કેસથી દૂર રાખવાની માંગણી કરી છે.
સુનાવણી શરૂ થતાં જ પાંચ જજની બેન્ચે કહ્યું હતું કે, આ કેસની આજે સુનાવણી કરવામાં આવશે નહીં, માત્ર ટાઈમલાઈન જ નક્કી કરવામાં આવશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, આજે અમે આ કેસ વિશે સુનાવણી નહીં કરીએ પરંતુ માત્ર તેની સમય મર્યાદા નક્કી કરીશું. આ કેસ સાથે જોડાયેલા 18836 પેજના દસ્તાવેજ છે. જ્યારે હાઈકોર્ટનો નિર્ણય 4,304 પેજનો છે. જે મુળ દસ્તાવેજ છે તે અરબી, ફારસી, સંસ્કૃત, ઉર્દુ અને ગુરમુખીમાં લખેલા છે. વકીલોએ કહ્યું કે, ટ્રાન્સલેશનની પુષ્ટી થવી જોઈએ.
રાજીવ ધવને જસ્ટિસ યૂ.યૂ લલિત પર ઉઠાવ્યા સવાલ
ચર્ચા દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે, બેન્ચમાં સામેલ જસ્ટિસ યૂ.યૂ. લલિત 1994માં કલ્યાણ સિંહ તરફથી કોર્ટમાં રજૂ થયા હતા. આ ઉપરાંત તેમણે બેન્ચમાં યૂ.યૂ. લલિત સામેલ હોવા બાબતે વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. ત્યારે ચીફ જસ્ટિસ ગોગોઈએ તેમને એવું પણ કહ્યું કે, તમે વિરોધ કેમ વ્યક્ત કરી રહ્યાં છો. તમે માત્ર તથ્યોને સામે મૂક્યા છે. જોકે યુપી સરકારના હરીશ સાલ્વેએ કહ્યું હતું કે, જસ્ટિસ યૂ.યૂ. લલિતના બેન્ચમાં સામેલ થવાથી તેમને કોઈ તકલીફ નથી. પરંતુ આ પ્રમાણેનો વિવાદ થયા પછી જસ્ટિસ યૂ-યૂ લલિતે જાતે જ તેમને આ કેસથી દૂર રાખવાની ભલામણ કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આ વિશે માહિતી આપી હતી.
રાજીવ ધવને બંધારણીય બેન્ચ સામે ઉભા કર્યા સવાલ
રાજીવ ધવને આ સિવાય બંધારણીય બેન્ચ સામે પણ સલાવ ઉભા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ કેસ પહેલાં 3 જજની બેન્ચ પાસે હતો અને અચાનક હવે 5 જજની બેન્ચ સામે લાવવામાં આવ્યો છે. આ વિશે કોઈ ન્યાયિક આદેશ જાહેર કરવામા આવ્યો નહતો. જોકે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, બંધારણીય બેન્ચનું ગઠન કરવું ચીફ જસ્ટિસનો અધિકાર છે.
પહેલાં આ કેસમાં સુનાવણી પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીવાળી ત્રણ સભ્યોની બેન્ચ દ્વારા કરવામાં આવતો હતો. 2 ઓક્ટોબરે તેમના નિવૃત્ત થયા પછી આ કેસને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના આગેવાનીવાળી બે સભ્યોની બેન્ચને સુચિત કરવામાં આવ્યો હતો. આ બેન્ચે 4 જાન્યુઆરીએ કેસની સુનાવણીની તારીખ 10 જાન્યુઆરી નક્કી કરી અને મંગળવારે 8 જાન્યુઆરીએ આ કેસની સુનાવણી માટે પાંચ જજની બેન્ચ નક્કી કરવામાં આવી હતી. આ બેન્ચમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ બોબડે, જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ યુ.યુ લલિત અને જસ્ટિસ ડિવાય ચંદ્રચૂડ છે
લોકસભા ચૂંટણીના કારણે રાજકારણમાં રામમંદિર મુદ્દો ચર્ચાનો વિષય બન્યો
લોકસભા ચૂંટણી નજીક હોવાના કારણે રાજકારણમાં રામમંદિરનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. કેન્દ્રમાં એનડીએના સહયોગી શિવસેનાએ કહ્યું હતું કે, જો 2019 ચૂંટણી પહેલાં મંદિર ન બને તો તે જનતા સાથે દગો થશે. તે માટે ભાજપ અને આરએસએસએ માફી માંગવી પડશે. બીજી બાજુ કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને અધ્યાદેશ લાવવાનો વિરોધ કરતાં કહ્યું છે કે, આ કેસમાં દરેક પક્ષોએ સુપ્રીમ કોર્ટનો આદેશ માનવો જોઈએ. તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ નવા વર્ષના તેમના પહેલાં ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, કોર્ટનો ચુકાદો આવ્યા પછી જ મંદિર મુદ્દા પર અધ્યાદેશ લાવવા વિશે વિચાર કરવામાં આવશે.
શું હતો અલાહાબાદ હાઈકોર્ટનો નિર્ણય?
અલાહાબાદ હાઈકોર્ટની 3 સભ્યોની બેન્ચે 30 સપ્ટેમ્બર, 2010ના રોજ 2:1ના બહુમતવાળા નિર્ણયમાં કહ્યું હતું કે, 2.77 એકર જમીન સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલ્લા વચ્ચે સમાન રીતે વહેંચણી કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 29 ઓક્ટોબરે કહ્યું હતું કે, આ કેસ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યોગ્ય બેન્ચની સામે રજૂ કરવામાં આવશે જે તેની સુનાવણીનો ક્રમ નક્કી કરશે. ત્યારપછી અખિલ ભારત હિન્દૂ મહાસભાએ એક અરજી દાખલ કરીને સુનાવણીની તારીખ આગળ વધારવાની માંગણી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આવું કરવાની ના પાડી દીધી હતી.