વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી ચૂંટણી નહીં લડે. રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોની સેન્સ લેવા પહોંચેલા નિરીક્ષક બાબુભાઈ જેબલિયાએ કહ્યું છે કે પીએમ મોદી રાજકોટથી ચૂંટણી નહીં લડે. રાજકોટ બેઠક માટે ઘણા સક્ષમ દાવેદારો છે. જોકે નિરીક્ષક નરહરી અમીનનું કહેવું છે કે ક્યાંથી ચૂંટણી લડવી તે અંગે નરેન્દ્ર મોદી નિર્ણય લેશે. પરંતુ જો તેઓ રાજકોટથી ચૂંટણી લડે તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને ફાયદો થશે. અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે મોદી રાજકોટથી ચૂંટણી લડશે. તે પાછળ રાજકીય ગણતરીઓ પણ માંડવામાં આવી હતી. ગત વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપની 13 બેઠકોમાં ઘટાડો થયો હતો. પણ ગત તમામ ચૂંટણીઓમાં રાજકોટ શહેરમાં ભાજપનો ગઢ જળવાયો હતો. ત્યારે સલામત ગણાતી આ બેઠક પરથી મોવડીઓના માનીતાને ટિકીટ મળે તેવી ગણતરી રાજકીય નિરીક્ષકો માંડી રહ્યા છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ એક જ બેઠક પર કડવા પાટીદાર ઉમેદવારને ટિકીટ મળતી હોય મોહન કુંડારિયાને રિપીટ કરાય તેવી શક્યતા વચ્ચે તેમનો અંદરખાને આડકતરો વિરોધ થઈ રહ્યાનું પણ જાણવા મળે છે. તો રાજકોટ પર જે રીતે લક્ષ્ય અપાયું છે તે જોતા ખુદ વડાપ્રધાન રાજકોટથી ફરી એક વાર ચૂંટણી લડે તેવી વાતો પણ વહેતી થઈ છે જેને પક્ષ સમર્થન આપતો નથી પણ નરેન્દ્રભાઈ મોદી અહીં આવે તો સૌરાષ્ટ્રમાં જુસ્સો વધે તેવો મત વ્યક્ત કરે છે. આવતીકાલે રાજકોટના ઉમેદવાર નક્કી કરવા માટે ભાજપ કાર્યાલયમાં નેતાઓ-કાર્યકરોનો મત જાણવામાં આવી રહ્યો છે. અગાઉ અનેકવાર ધારાસભા અને સાંસદની બેઠક માટે દાવેદાર રહેલા ધનસુખ ભંડેરી ની મનની મનમાં જ રહી છે અને હવે તેઓ કહે છે હું ચૂંટણી ઈન્ચાર્જ છું અને જે પણ ઉમેદવાર જાહેર થાય તે માટે કામ કરીશું.
ગત ચૂંટણીમાં તે ઉપરાંત ચાર ટર્મ ચૂંટાયેલા ડો.કથિરીયા, જસદણના પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરા, પૂર્વ જિ.ભાજપ પ્રમુખ લાલજી સાવલિયા વગેરે લેઉઆ પાટીદારો તો હરિભાઈ પટેલ, ડો.પાડલિયા, પૂર્વ મ્યુનિ.કમિશનર ઘોડાસરા સહિત કડવા પાટીદારો ઉપરાંત રાજકોટ મનપાના કોર્પોરેટરો પણ દાવેદાર હતા. ગત ઈ.૨૦૧૪ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયાએ ભાજપ અને મોદી વિરુધ્ધ જોરદાર પ્રચાર આ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર તરીકે કર્યો હતો પણ તેઓ ૨.૪૬ લાખ મતોથી કુંડારિયા સામે હારી ગયા હતા જેનું કારણ મોદી મોજુ હતું. આ વખતે બાવળિયા ભાજપનો પ્રચાર કરવા નીકળશે અને તે કારણે રાજકોટ જિલ્લાની ૭ બેઠકોમાં રાજકોટની ચારેય બેઠકો, ટંકારા અને જસદણ એમ છ બેઠકો હાલ ભાજપના કબજામાં છે. જે બેઠક જીતવા માટે સરળ ગણાતી હોય ત્યાં મોટા નેતાને ટિકીટ અપાતી હોય છે.
ઉલ્લેખનીય છે કે આ બેઠક પર ઈ.૨૦૦૯માં ભાજપે હારનો સામનો પણ કરવો પડયો છે. કૂલ મતદારોમાં બહુમતિ મતદારો ભાજપના આજે ય ગઢ નથી, કેટલાક મતદાન નથી કરતા, કેટલાક કોંગ્રેસને મત આપતા રહ્યા છે. રાજકોટની અનામત બેઠક પર તો નજીવી સરસાઈથી ધારાસભામાં વિજય મળ્યો હતો. પરંતુ, ખુદ મુખ્યમંત્રી અહીં જંગી લીડથી કોંગ્રેસ તરફી હવામાનમાં જીત્યા હતા ત્યારે રાજકોટની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર પણ લાંબુ વિચારીને નક્કી થશે એ નક્કી મનાય છે.