નડિયાદઃ ડાકોરમાં એક લગ્ન પ્રસંગમાં મહેમાન બનીને આવેલા પરપ્રાંતિય યુવકે પાડોશી સાથે ઝઘડા બાદ ચપ્પાથી જીવલેણ હુમલો કરતાં એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજા થઇ હતી. આ મામલે ડાકોર પોલીસે તપાસ હાથ ધરી બે વેપારી સહિત ચપ્પાના ઘા ઝીંકનારા ત્રણેય શખ્સોની ધરપકડ કરી હતી. ડાકોરમાં આવેલ ભક્તિ પાર્ક સોસાયટીમાં જગદીશ બંસીલાલ શાહ અને સંજય બંસીલાલ શાહના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન રાજસ્થાનથી મહેમાન તરીકે અખીલ રમેશચંદ્ર આગલ આવ્યો હતો.
લગ્નપ્રસંગે મહેમાનોને સોસાયટીના જ એક મકાનમાં ઉતારો આપવામાં આવ્યો હતો. ઉતારાવાળા ઘરમાં આવેલો અખીલ બાજુમાં રહેતા કૌતુકભાઇ પ્રજાપતિના ઘર પાસે જાહેરમાં અપશબ્દો બોલી, અભદ્ર-અશ્લિલ હરકતો કરતો હોવાથી આ બાબતે કૌતુકભાઇએ પાડોશી જગદીશ અને સંજયને તેમના મહેમાનને સમજાવવા કહ્યું હતું. સાંજના સમયે કૌતુકભાઇ તેમના મિત્ર નિર્મલ ઘનશ્યામભાઇ પટેલ સાથે તેમના ઘર પાસે બેઠા હતા અને અખસલને લઇને થયેલા ઝઘડા બાબતે વાત કરતાં હતા.
આ સમયે અખીલ ફરીથી ત્યાં આવ્યો હતો અને કૌતુકભાઇ અને નિર્મલભાઇ સાથે બેફામ અપશબ્દો બોલીને ઝઘડો કર્યો હતો. આ સમયે મામલો વધુ ઉગ્ર બનતાં સંજય અને જગદીશ શાહ ત્યાં આવ્યા હતા અને તેમણે પણ કૌતુકભાઇ અને નિર્મલભાઇ સાથે ઝઘડો કર્યો હતો. આ સમયે મામલો ગરમાતા ઉશ્કેરાયેલા સંજય અને જગદીશે નિર્મલભાઇને પકડી રાખ્યા હતા અને અખીલે તેના ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને નિર્મલભાઇને મારતાં તેમને ગંભીર ઇજા થઇ હતી.
આ સમયે કૌતુકભાઇ વચ્ચે છોડાવવા પડતાં તેમને પણ ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા. ઘટના બાદ પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને ધરપકડ કરી, કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નિર્મલ પટેલની હત્યાના પગલે સમગ્ર નગરમાં ચકચાર મચી ગઈ હતી. ડાકોરમાં સોમવારના રોજ નિર્મલની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયાં હતાં.