અમદાવાદ-હિંમતનગર: હિંમતનગરના ઢુંઢરમાં 14 માસની બાળકી સાથે થયેલા દુષ્કર્મની ઘટનાને આજે 130 દિવસ પૂર્ણ થયા છે. ઘટના બાદ લોકોમાં રોષ ભભૂક્યો હતો. સમગ્ર ગુજરાતમાં રહેતા પરપ્રાંતીયો પર હુમલા થયા હતા. તે સમયે રાજ્ય સરકારે મામલો થાળે પાડવા માટે નાણાં આપવા સહિત આરોપીને કડક સજા કરવા માટેના વચનો આપ્યા હતા. ઘટનાને 4 મહિના વિત્યા પણ ભાજપ સરકાર અને પોલીસ જાણે ઘટનાને ભૂલી ગઈ હોય તેમ લાગે છે. હજૂ સૂધી ઢુંઢર દુષ્કર્મ કેસમાં સરકારે કોઈ પગલાં લીધા નથી.
ઢુંઢર દુષ્કર્મને કેસમાં ભાજપના નેતાઓએ વળતર આપવાની જાહેરાત કરી હતી પણ પૈસા આપ્યા જ નથી. દુષ્કર્મની ઘટના બાદ ભાજપના ધારાસભ્ય 50 હજાર તો ભાજપ સાંસદ દિપસિંહ રાઠોડે 51 હજાર આપવાની જાહેરાત કરી હતી પણ આજ સુધી પૈસા આપ્યા જ નથી. સાબરકાંઠા પોલીસે એક દિવસનો પગાર આપવાની જાહેરાત કરી હતી પણ પોલીસે પણ પૈસા ન આપ્યા. આટલી સંવેદનશીલ ઘટનાને ગંભીરતાથી લઈ મોટાભાગે જાહેરાતો કર્યા બાદ સરકાર ઘટનાને ભૂલી ગઈ હોય તે સાબિત થાય છે.
હિંમતનગરના ઢુંઢર ગામમાં અનુપમ સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિકે 28-09-2018 શુક્રવારે રાત્રે સવા વર્ષની બાળકીને રમાડવાના બહાને લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચરી ખેતરમાં ફેંકી દીધી હતી, જેથી રોષે ભરાયેલાં ટોળાંએ ફેકટરીમાં ત્રણ ગાડી સહિત ચાર વાહનોને આગ ચાંપી હતી. પોલીસે કલાકોમાં આરોપીને પકડી જેલભેગો કર્યો હતો.