- Advertisement -
ટેલિવિઝન ડેસ્ક: કોમેડી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં 2700 એપિસોડ પૂરા થઈ ગયા છે. લાંબા સમયથી પ્રસારિત થતા આ ધારાવાહિકે ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ’માં નામ નોંધાવી લીધું છે. 11 વર્ષથી ચાલી રહેલી આ સિરિયલે દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી લીધી છે.
દિશા વાકાણી વિશે આ ચોખવટ કરી
અમે દિશાને કોઈ નોટિસ મોકલી જ નથી
થોડા સમય પહેલાં એવી ચર્ચાઓ થઈ રહી હતી કે દિશા વાકાણીને 30 દિવસની નોટિસ મોકલવામાં આવી છે. જો 30 દિવસમાં પરત નહિ આવે તો તેની જગ્યાએ નવો ચહેરો આવશે. ટીવી શોના નિર્માતા અસિત મોદીએ કહ્યું કે, નોટિસ જેવી કોઈ વાત જ નથી. જે સમાચાર આવ્યા છે તદ્દન ખોટા છે. હજુ પણ વાતચીતો ચાલી રહી છે. જો તે સિરિયલમાં કમબેક કરશે તો તેને મોસ્ટ વેલકમ છે, બાકી શો મસ્ટ ગો ઓન. સિરિયલનાં તમામ કેરેક્ટર્સ મારા દિલની નજીક છે. મને ખબર છે કે દર્શકો દયાભાભીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પણ આ બધું છેલ્લે તો દિશાના હાથમાં જ છે. તે હાલ પરિવારને વધારે મહત્ત્વ આપવા માગે છે. આગળ શું થાય છે તે તો સમય આવ્યે જ ખબર પડશે.
શૈલેષ લોઢાએ રાહ જોવા કહ્યું
દિશા વાકાણીએ દીકરીના જન્મને લીધે તેણે આ શોમાંથી વિદાય લઇ લીધી હતી પરંતુ તે પાછી ક્યારે ફરશે તે પ્રશ્ન તેના ફેન્સના દિલો-દિમાગ પર હાવી થઇ ગયો છે. સીરિયલમાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ ફેન્સને રાહ જોવા માટે કહ્યું હતું. તેણે કહ્યું કે ,’ આવશે-આવશે ઈન્તજારનું ફળ મીઠું હોય છે, ઈન્તજારનું ફળ ‘દયા’ હોય છે.’