નખત્રાણાના નવાનગરમાં છેલ્લા 15 દિવસથી પાણી ન મળતાં રોષે ભરાયેલી મહિલાઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ત્યાંથી ગ્રામ પંચાયતની કચેરીએ મોરચો પહોંચ્યો હતો. આ તકે વોર્ડ નં. 15, 16 અને 17ના સભ્યો ગેરહાજર હતા જેમને બોલાવીને એક રૂમમાં પૂરી દીધા હતા. તો સરપંચ પણ હાજર ન હોતાં મહિલાઓ તેમના ઘરે પહોંચી ગઇ હતી.
નવાનગરથી રેલી રૂપે ના અગ્રણીઓ સાથે નીકળેલી મહિલાઓએ પ્રાંત અધિકારીને આપેલા આવેદનમાં જણાવાયું હતું કે, કાળઝાળ ગરમીમાં પાણી વિતરણ બંધ કરી દેવાતાં બોર ફેલ થઇ જવો કે મોટર બળી જવાની સમસ્યા રોજિંદી બની છે જેના કારણે નવાનગરના રહીશો પીવાના પાણી માટે પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. આ સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવામાં આવે તેવી રોષપૂર્વક રજૂઆત કરાઇ હતી.આ કચેરીથી નીકળેલો મોરચો ગ્રામ પંચાયત ની કચેરીએ પહોંચ્યો હતો જ્યાં મહિલા સરપંચ સહિતના કોઇ જવાબદાર હાજર ન હોતાં રોષ બેવડાયો હતો. દરમિયાન વોર્ડ નં. 15થી 17ના સભ્યોને બોલાવાયા હતા અને એક રૂમમાં પૂરીને તાળું મારી દેવાયું હતું. સરપંચનો ટેલિફોનિક સંપર્ક સાધતાં તેમણે રજા પર હોવાનું કહ્યું હતું પણ તાલુકા વિકાસ અધિકારીએ કોઇ રજા રિપોર્ટ આવ્યો ન હોવાનું કહેતાં મહિલાઓ સરપંચના નિવાસ સ્થાને ધસી ગઇ હતી. પ્રત્યુત્તરમાં સરપંચે પાણીની સમસ્યા દૂર કરવા લોકોનો સહકાર માગ્યો હતો. દાનુભા જાડેજા, જીતુભા જાડેજા, અનવર ચાકી, દેવાભાઇ રબારી, જયાબેન જાડેજા, હેમલતાબેન ઠક્કર સહિતના અગ્રણીઓ જોડાયા હતા.