અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત નવી વીએસ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે ત્યારે આ માટેની આમંત્રણ પત્રિકામાંથી ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નું નામ ગાયબ થઈ જતાં નવો વિવાદ થયો છે. આમ પણ નીતિનભાઈને કેન્દ્રમાં લઈ જવાની ઘણા સમયથી વાતો ચાલી રહી છે.
ગુજરાત ભાજપમાં આંતરિક જૂથવાદની લાંબા સમયથી વાતો
નીતિનભાઈને કટ ટૂ સાઈઝ કરાઈ રહ્યાની સમર્થકોને ચિંતા
નીતિન પટેલને ભાજપમાંથી અને સરકારની અનેક કામગીરીમાંથી કટ ટૂ સાઈઝ કરવામાં આવી રહ્યા હોવાની તેમના સમર્થકોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ખટરાગને કારણે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખફા હોવાનું આંતરિક સૂત્રો જણાવે છે.
પાટીદાર અનામત આંદોલન નીતિન પટેલને નડી ગયું
નીતિન પટેલને પાટીદાર અનામત આંદોલન નડયું હોય તેવું પણ મનાય છે. અગાઉ પાટીદારોએ અનામત માટે આંદોલન કરતા આનંદીબેને પણ મુખ્યમંત્રી પદ પરથી દૂર થવું પડ્યું હતું. હવે નીતિન પટેલનો પણ વારો પડી શકે છે.