ગાંધીનગર: કોંગ્રેસમાં મોટાપાયે તોડફોડ થઇ શકે છે તેવું સોમવારે બપોરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યા પછી તરત જ સાંજે કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અને ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બેચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર દિલ્હી જવા રવાના થયા હતા. અલ્પેશ ઠાકોરે અત્યાર સુધીમાં ‘મેં લાગણીમાં નિર્ણયો લીધા હોવાનું કોંગ્રેસ માને છે, પણ હવે ચાલાક રાજકારણીની જેમ નિર્ણય લઈ શકું છું’ તેમ કહી કોંગ્રેસ છોડવાનો આડકતરો સંકેત આપ્યો છે.
પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે ઓબીસી સેલના નવનિયુક્ત અધ્યક્ષ ઘનશ્યામ ગઢવીનો પદગ્રહણ સમારોહમાં અસંતુષ્ટ ગણાતા નેતાઓને સ્ટેજ પર બેસાડીને પ્રદેશ કોંગ્રેસે મનાવવાના પ્રયાસ કર્યા હતા, પણ સમારોહ પૂરો થયા પછી તરત જ અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને ભરત ઠાકોર દિલ્હી જવા રવાના થયા હતા. સૂત્રોના કહ્યા પ્રમાણે ધારાસભ્યો દિલ્હીમાં પ્રથમ અહેમદ પટેલને મળશે. તેમની મુલાકાત રાહુલ ગાંધી સાથે ગોઠવાઇ શકે છે. અલ્પેશના કહ્યા પ્રમાણે પક્ષમાં તેના સમાજની અવગણના થાય છે, ઠાકોર સેનાને તોડવાના પ્રયાસ થાય છે. સૂત્રોએ એમ પણ કહ્યું છે કે, પક્ષના સિનિયર નેતાઓ લોકસભા ચૂંટણીના કાર્યક્રમો નક્કી કરવાના બહાને દિલ્હી ગયા હતા, પણ તેઓ રાહુલ ગાંધીને મળશે તેવી ગણતરી છે.