- Advertisement -
વડોદરાઃ વડોદરા લોકસભા બેઠક પર ઉમેદવારોની પસંદગી માટે આજે પ્રદેશ ભાજપના નિરીક્ષક જય નારાયણ વ્યાસ, પંકજ દેસાઇ અને દર્શના વાઘેલા વડોદરાની મુલાકાતે છે. જ્યાં નિરીક્ષક પકંજ દેસાઇએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી જો વડોદરા બેઠક પરથી ચૂંટણી લડશે તો તેઓ 7 લાખ મતથી જીતશે અને પ્રદેશના નેતાઓ પણ ઇચ્છી રહ્યા છે કે, મોદી વડોદરા બેઠક પરથી ચૂંટણી લડે.
પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કે, મોદી વડોદરા બેઠક પર લડશે કે નહીં
પ્રદેશ ભાજપના નિરીક્ષક જય નારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, હું નથી જાણતો કે, મોદી વડોદરાથી લડશે કે નહીં પરંતુ, પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કે, મોદી વડોદરા બેઠક પરથી ચૂંટણી લડશે કે નહીં.
નિરીક્ષકો 350 જેટલા આગેવાનોને મળશે
વડોદરા લોકસભા બેઠક માટે વડોદરાના વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ, સ્થાયી સમિતિના ચેરમેન સતિષભાઇ પટેલ, પૂર્વ મેયર ભરત ડાંગર, પ્રદેશ મહિલા પ્રમુખ ડો. જ્યોતિ પંડ્યા, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચૂડાસમા અને પરાક્રમસિંહ જાડેજા સહિતના નેતાઓએ દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત ધારાસભ્યો, પ્રદેશ હોદ્દેદારો, વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, કોર્પોરેટરો, વિવિધ મોરચાના કન્વીનરો, સેલના કન્વીનરો સહિત 350 જેટલા આગેવાનોને મળશે અને તેમના અભિપ્રાયો લેશે.
વડોદરા બેઠક પર આયાતી ઉમેદવાર ન આવવો જોઇએ
વડોદરા શહેર ભાજપના કાર્યકરોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, વડોદરા બેઠક પર કોઇ આયાતી ઉમેદવાર ન આવવો જોઇએ. અહીં સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવી જોઇએ. તો કેટલાક કાર્યકરોએ કહ્યું હતું કે, વડોદરા બેઠક માટે દાવેદારોની સેન્સ લેવી એ તો માત્ર નાટક જ છે. ઉમેદવાર પહેલેથી જ નક્કી હોય છે.