ઓલિમ્પિક સહિતની વૈશ્વિક રમતોમાં સર્વોચ્ચ સંસ્થા તરીકે કાર્યરત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટિ (આઇઓસી)એ તાજેતરમાં જ ભારત સાથે ઓલિમ્પિક સંબંધિત ટુર્નામેન્ટ અંગેની તમામ વાટાઘાટો બંધ કરવાની સાથે અન્ય ફેડરેશનોને ભલામણ કરી હતી કે, ભારતને મેજર ઈન્ટનરેશનલ ઈવેન્ટ આપવામાં ન આવે. જેના પગલે કુસ્તીના આંતરરાષ્ટ્રીય ફેડરેશન – યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ્સે – તેના સભ્ય દેશોને આદેશ કર્યો છે કે, તેઓ ભારત સાથેની તમામ વાટાઘાટો સ્થગિત કરી દે. પાકિસ્તાન સાથે તણાવ બાદ જુનિયર એશિયન કુસ્તી ચેમ્પિયનશીપના આયોજન સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.
કુસ્તીબાજો અને કુસ્તીને તેનાથી મુશ્કેલી ન પડે
કુસ્તીના વિશ્વ ફેડરેશનના આ પ્રકારના નિર્ણયને પગલે જુલાઈમાં ભારતમાં યોજાનારી જુનિયર એશિયન કુસ્તી ચેમ્પિયનશીપના આયોજન સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરન સિંઘે કહ્યું કે, અમે આ મામલાને ઉકેલવા માટે કેન્દ્ર સરકારને પત્ર પાઠવ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે કુસ્તીબાજો અને કુસ્તીને તેનાથી મુશ્કેલી ન પડે. અમે સરકારને પત્ર પાઠવવાના છીએ કે, સ્પોર્ટસને અસર પડવી ન જોઈએ.
શૂટિંગ વર્લ્ડકપમાં પાકિસ્તાનના શૂટરોને વિઝા આપ્યા ન હતા
પુલવામામાં આતંકવાદી હુમલામાં ભારતના ૪૦થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા, જે પછી ભારત સરકારે ઘરઆંગણે યોજાયેલા શૂટિંગ વર્લ્ડકપમાં પાકિસ્તાનના શૂટરોને વિઝા આપ્યા નહતા. આ ઘટના પગલે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ (આઇઓસીએ) નારાજગી વ્યક્ત કરતાં ભારત સાથે ઓલિમ્પિક સંબંધિત ઈવેન્ટ્સના આયોજનની તમામ વાટાઘાટો બંધ કરી હતી અને તેના સભ્ય એવા રમતોના ફેડરેશનોને ભલામણ કરી હતી કે, ભારતને કોઈ મેજર ચેમ્પિયનશીપ આપવામાં ન આવે.
વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને વિઝા આપશે
બ્રિજભૂષણ શરણ સિંઘે કહ્યું કે, જુનિયર કુસ્તી ચેમ્પિયનશીપ ભારતમાં જ રહે તે માટે અમે બનતા પ્રયાસ કરી રહ્યા છીએ. આ બાબતનું નિરાકરણ લાવવું જ રહ્યું. મેં હજું વર્લ્ડ કુસ્તી ફેડરેશનનો પત્ર વાંચ્યો નથી પણ રમતને ફટકો ન પડે તે જોવું જોઈએ. ફેડરેશનના અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, યુનાઈડેટ વર્લ્ડ રેસલિંગ્સ ઈચ્છે છે કે, ભારત સરકાર એવી ખાતરી આપે કે, તેઓ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને વિઝા આપશે. નોંધપાત્ર છે કે, અગાઉ આઇઓસીએ પણ ભારતમાં તેના સભ્ય એવા – ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન-ને જણાવ્યું છે કે, તેઓ સરકાર પાસેથી ૧૫ દિવસના ગાળામાં તમામ સ્પર્ધકોને સ્પર્ધામાં ભાગ લેવાની તમામ વ્યવસ્થા કરીશું તેવી ખાતરી આપતો પત્ર મેળવીને આઇઓસીને મોકલાવે.