મુંબઈઃ અક્ષય કુમાર આજકાલ કેનેડાની સિટિઝનશીપને લઈ ચર્ચામાં છે. આ વિવાદની વચ્ચે અક્ષય કુમાર ફેની વાવાઝોડાના પીડિતો માટે આગળ આવ્યો છે. અક્ષય કુમારે પીડિતો માટે સીએમ રાહત કોષમાં એક કરોડ રૂપિયાનુ દાન આપ્યું છે.
ચેન્નાઈ-કેરળ પૂર પીડિતોને મદદ કરી ચૂક્યો છે
અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, અક્ષય કુમારે ઓરિસ્સાના મુખ્યમંત્રી (નવીન પટનાયક) રાહત કોષમાં એક કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. અખબારે ઓરિસ્સા સીએમ ઓફિસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાંથી કોઈ જવાબ આવ્યો નથી. આ પહેલાં ચેન્નાઈ તથા કેરળમાં પૂર વખતે અક્ષય કુમાર મદદ માટે આગળ આવ્યો હતો. ચેન્નાઈ પૂર પીડિતો માટે અક્ષય કુમારે એક કરોડ રૂપિયા આપ્યા હતાં. કેરળ વખતે પણ અક્ષય કુમારે મદદ કરી હતી. અક્ષય કુમાર શહીદોના પરિવારને પણ મદદ કરતો હોય છે. પુલવામા આતંકી હુમલા સમયે પણ અક્ષય કુમારે શહીદ પરિવારોને સહાય કરી હતી.
સેના માટે આગળ અક્ષય કુમાર આગળ હોય છે
અક્ષય કુમારે પુલવામા હુમલામાં શહીદ થયેલા જીતરામ ગુર્જરની પત્ની સુંદરી દેવીને 15 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. જીતરામના નાના ભાઈએ અક્ષય કુમારનો આભાર માન્યો હતો. અક્ષય કુમારે ભારત સરકાર સાથે મળીને ‘ભારત કે વીરપુત્ર’ એપની શરૂઆત કરી છે. આ એપની મદદથી દેશનો કોઈ પણ નાગરિક એક રૂપિયાથી લઈ પોતાની મરજી પ્રમાણેનુ દાન કરી શકે છે. આ રકમ શહીદોના પરિવાર તથા સેનાની મદદ માટે ઉપયોગમાં લેવાય છે.