કોલકાતા: પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને બીજેપી કાર્યકર્તાની હત્યા કરી દીધી છે. ઘટના શુક્રવારે રાત્રે ચકદાહ વિસ્તારમાં થઈ છે. 25 વર્ષના સંતુ ઘોષ થોડા દિવસ પહેલાં જ તૃણમૂલનો સાથ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. ભાજપ નેતાઓએ મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પર આ હત્યાનો આરોપ લગાવ્યો છે. બીજી બાજુ લોકસભા ચૂંટણીના પરિણામો પછી બૈરકપુર સીટમાં ઘણાં શહેરોમાં હિંસા થઈ હતી. અહીં બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું.
પોલીસના જણાવ્યા પ્રમાણે સંતુ રાતે અંદાજે 9 વાગે ઘરે પરત આવ્યો હતો. થોડી વાર પછી બે લોકોએ તેને ઘરની બહાર બોલાવ્યો હતો અને ત્યાં જ તેને ગોળી મારીને ભાગી ગયા હતા. પરિવારજનો સંતુને હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી દીધો હતો. સંતુના પિતા કોલકાતાના જ્વેલરી શો-રૂમમાં કામ કરે છે. તેમણે કહ્યું કે- મારો દીકરો ભાજપમાં સામેલ થયો છે તેવી મને ખબર જ નહતી. આમ તો તે તૃણમૂલના નેતા પિન્ટૂ નાગનો ખાસ હતો.
સંતુ ભાજપના ચૂંટણી પ્રચારમાં સક્રિય હતો
ભાજપ યુવા મોક્ચામાં કૌશિક ભૈમિકે આરોપ લગાવ્યો હતો કે સંતુએ તૃણમૂલ છોડ્યું હોવાના કારણે તેની હત્યા કરવામાં આવી છે. તે ભાજપના ચૂંટણી પ્રચારમાં ખૂબ સક્રિય હતો. ગુરુવાર વિજય જુલુસમાં પણ તે સામેલ થયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તેને ધમકી પણ મળતી હતી. ભાજપનો આરોપ છે કે, તૃણમૂલ મેસેજ આપવા માંગે છે કે, જે પણ તૃણમૂલથી અલગ થશે તેની હાલત સંતુ ઘોષ જેવી થશે.