અમદાવાદઃ લોકસભાની સાથે યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણીમાં વિજયી બનેલા ચાર ધારાસભ્યો એવા પરસોત્તમ સાબરિયા, રાઘવજી પટેલ, જવાહર ચાવડા અને આશા પટેલે ધારાસભ્યપદના શપથ લીધા છે. આ ધારાસભ્યોને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 103 પર પહોંચ્યું છે. શપથ ગ્રહણ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને દંડક પંકજ દેસાઈએ ચારેય ધારાસભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી.
પેટાચૂંટણીની તમામ ચાર બેઠકો પર ભાજપનો વિજય
લોકસભાની સાથે સાથે 4 વિધાનસભા બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં તમામ બેઠક પર ભાજપનો વિજય થયો હતો. જેમાં આશા પટેલ(ઊંઝા), પરસોત્તમ સાબરિયા(ધ્રાંગધ્રા), રાઘવજી પટેલ(જામનગર ગ્રામ્ય), જવાહર ચાવડા(માણાવદર)નો સમાવેશ થાય છે.
પ્રજાને અમારા પર અમાપ વિશ્વાસઃ રૂપાણી
શપથ ગ્રહણ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે ભાજપના ચાર ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યાં છે ત્યારે આ સાથે વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ હવે 103 થયું છે. તેમણે કહ્યું કે, તાજેતરમાં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીની 26 બેઠકો માટે અને વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં લોકસભા તથા વિધાનસભાની તમામ બેઠકો પર રાજ્યના નાગરિકોએ ભૂતકાળમાં જે મત આપ્યા હતા, તેના કરતાં વધુ મત આપીને અમારી ઝોળી ભરી દીધી છે. ચૂંટણીના પરિણામો સાબિત કરી દીધું છે કે, પ્રજાને અમારા પર અમાપ વિશ્વાસ છે અને એ વિશ્વાસ અમે ક્યારેય તૂટવા દઈશું નહીં.