સુરતઃ ભારતમાલા એક્સપ્રેસ હાઇવેનો ઘણા સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે નવસારી જિલ્લાના ચીખલીમાં આજે 10 હજાર જેટલા આદિવાસીઓએ એકઠા થઈને વિરોધ કરતાં પરંપરાગત નૃત્ય કરવાની સાથે વિશાળ રેલી યોજીને આવેદનપત્ર આપ્યું હતું.
રોડના પ્રોજેક્ટના વિરોધમાં એકઠા થયેલા આદિવાસીઓએ જણાવ્યું હતું કે, જમીન અમારી માં છે અને અમારી છાતિ પરથી પસાર કોઈને નહીં થવા દેવામાં આવે. જમીન જતી રહેશે હાઈવેના નામે તો રોજી રોટીના પ્રશ્નો ઉભા થશે. જમીન જ નહીં હોય તો હાઈવે ને શું કરવો છે. અને હાલના સમયમાં જે છે એ શું પુરતા નથી તેમ કહી રોષ ઠાલવ્યો હતો.
સુરતથી લઈને નાસિક અને અમદાવાદને જોડાતા એક્સપ્રેસ હાઇવે ભારતમાલા પ્રોજેક્ટની કામગીરીઓ શરૂ થઇ ગઈ છે. જેના માટે પીળા કલરના ખૂંટાઓ પણ લગાવી દેવામાં આવ્યા છે. જેમાં નવસારી જિલ્લાના ૬૧ ગામોના ખેડૂતોની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં સંપાદન થવાની છે ત્યારે આદિવાસી વિસ્તાર ગણાતા ચીખલી અને વાંસદા તાલુકાના ૨૩ ગામોના આદિવાસીઓની જીવાદોરી સમાન અને પેટીયું રળી આપતી જમીન જવાને લઈને આદિવાસીઓ ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ નોંધવી રહ્યા છે.
કોંગ્રસમાંથી ચૂંટાયેલા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ ૧૦ હજાર જેટલા આદિવાસી પરુષ અને મહિલાઓ આક્રમક મૂડમાં આવીને સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી ભારત માલા પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કર્યો હતો. વિરોધ જોતા ડાંગ જિલ્લાનું મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ ભારત માલા પ્રોજેક્ટને હાલ પુરતો મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.