ભાવનગર:સતત ચોથા દિવસે ભાવનગરમાં હત્યાની ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે ભાવનગર શહેરના જુની વિઠ્ઠલવાડી નજીક પાનના ગલ્લે બેઠેલા એક યુવાન પર જુની અદાવતની દાઝ રાખી ચાર જેટલા શખ્શોએ તલવાર સહિતના તિક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી તેનું ઘટના સ્થળે મોત નીપજાવ્યું હતું. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
મૃતદેહને પીએમ માટે ખસેડાયો:ઘટનાની વિગત અનુસાર ગત મોડી રાત્રે એક વાગ્યા આસપાસ જુની વિઠલવાડી વિસ્તારમાં પાનની દુકાને બેઠેલા નીરવ ઉર્ફે બાવકા રાજુભાઈ વેગડ (ઉ.વ.35) પર ચાર અજાણ્યા શખ્સોએ તલવાર વડે જીવલેણ હુમલો કરતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં ભાવનગર સીટી ડીવાયએસપી મનીષ ઠાકર તથા એ ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી:પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત જાહેર થઈ હતી કે, મૃતકે થોડા દિવસ પૂર્વે આ જ વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર સહિત ત્રણથી ચાર શખ્સો સાથે તેના ભાઈસાબ ભાઈને ગાલો ન આપવા બદલ તકરાર થઇ હતી તેની દાઝ રાખીને ગત રોજ ચાર શખ્સોએ એકસંપ કરીને મૃતક પર જીવલેણ હુમલો કર્યો હતો. જોકે બીજી તરફ મૃતક પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગત મોડી રાત્રે નિલમબાગ પોલીસે મૃતકના ભાઇ વિમલભાઈ રાજુભાઈ વેગડની ફરિયાદ લઇ ચાર અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જો કે સતત ચાર દિવસ દરમિયાન ચાર હત્યાના બનાવના પગલે ભાવનગર શહેરમાં ભારે ચકચાર મચી છે.