અમદાવાદઃ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીની ભૂમિકા શંકાસ્પદ લાગી છે. તેમજ ગુજરાત હાઈકોર્ટે મતગણતરી દરમિયાન ગરબડ થઈ હોવાનો સ્વીકાર કર્યો છે. આ સિવાય કોર્ટે ધવલ જાનીને પક્ષકાર પણ બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો ધોળકા બેઠક પરથી 327 મતે વિજય થયો હતો.
2017 ની વિધાનસભા ચૂંટણી માં ભુપેન્દ્રસિંહ ની 327 મતે જીત થઈ હતી. ત્યાર બાદ તેની આ જીત ને કોંગ્રેસ ના ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં પડકારી હતી. આ અરજી મુજબ, આ ચૂંટણીમાં પોસ્ટલ બેલેટના 427 મત રદ કર્યા હતા. જો ચૂંટણી અધિકારીએ તે રદ ન કર્યા હોત ભૂપેન્દ્રસિંહ જીતી શક્યા ન હોત. ત્યાર બાદ ભૂપેન્દ્રસિંહે આ અરજી રદ કરવા માટે હાઈકોર્ટમાં પિટીશન કરી હતી. જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે પણ આ અરજી નામંજૂર કરી હતી. તો બીજી તરફ ધવલ જાનીએ હાઈકોર્ટ સમક્ષ જુબાનીમાં સ્પષ્ટ કર્યું હતું કે, સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે, પોસ્ટલ બેલેટની ગણતરી 11.38થી 11.48 વાગ્યા દરમિયાન થઈ હતી.
અરજદાર અશ્વિન રાઠોડે પોતાની અરજીમાં માંગ કરી હતી કે, ઈવીએમમાં 29 મતો હતા, છતાંય તેને અધિકારીઓ દ્વારા ગણતરીમાં લેવાયા નહોતા. તેમણે એમ પણ કહ્યું કે, ધોળકા બેઠક પર 1,59,946 મત પડ્યા હતા જ્યારે, મત ગણતરીમાં 1,59,917 મત જ ગણતરીમાં લેવામાં આવ્યા છે, અને તેના પર જ પરિણામ જાહેર કરાયું હતું. દરેક રેકોર્ડ કોર્ટ સામે રજૂ થવા જોઈએ અને કોર્ટે ફેર મત ગણતરીનો આદેશ આપવો જોઈએ.