મહેસાણા: પઠાણકોટ આર્મીમાં ફરજ બજાવતા જવાને અમદાવાદ જમ્મુ તાવી ટ્રેનની બી 4 બોગીમાં બે અજાણ્યા વ્યક્તિઓ ગોળા વિસ્ફોટકો લઇને આવી રહ્યાની માહિતી આપતા રેલવેના નાયબ પોલીસ અધિક્ષકથી માંડી મહેસાણા પોલીસનો કાફલ ખડકાયો હતો. મહેસાણા રેલવે સ્ટેશન 10 મિનિટ ઉભી રહેલી ટ્રેનના તમામ ડબ્બાઓમા તપાસ કરતા કોઇ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ ના મળતા પોલીસે રાહતનો દમ લીધો હતો.
સીટ નંબર સહિતની માહિતી કન્ટ્રોલ રૂમને અપાઈ હતી
ગાંધીનગર પોલીસ કન્ટ્રોલ રૂમે 11 મે બપોરે 11 વાગ્યે પશ્ચિમ રેલવે અમદાવાદ પોલીસ કન્ટ્રોલ રૂમને મેસેજ કરેલો કે, વિરેન્દ્રસિંહ જાડેજા નામના વ્યક્તિએ જાણકારી આપેલી કે પોતે પઠાણકોટ આર્મીમાં ફરજ બજાવે છે અને હાલમાં રજા પર કેદારનાથ છે. પઠાણકોટ આર્મીમાં ફરજ બજાવતા પોતાના સાળા દ્વારા જાણકારી મળેલી કે, અમદાવાદ જમ્મુ તાવી ટ્રેન આવતી કાલે બપોરે અમદાવાદ પહોંચશે. જે ટ્રેનમાં જમ્મુથી બે માણસો ગોળા વિસ્ફોટકો લઇને આવે છે. તેમની બી 4 નંબરની બોગી અને 67,65 નંબરની સીટ છે.
બિકાનેરથી જ તપાસ થઈ
મસેજ મળતાં જ રેલવેના નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ આરપીએફ, પશ્ચિમ રેલવે એલસીબી, એસઓજી, ક્યુઆરટી, બીડીડીએસ સ્ટાફ, મહેસાણા રેલવે પોલીસની સાથે સંલગ્ન રાખી બિકાનેરથી ડબ્બાઓમાં તપાસ હાથ ધરાઇ હતી. મહેસાણા રેલવે સ્ટેશન પર રાત્રે 1.50 મિનિટે ઉપરોક્ત ટ્રેન આવતા પોલીસ કાફલો ટ્રેનના ડબ્બાઓમાં દોડી જઇ તપાસ કરી હતી. પરંતુ કાંઇ ના મળતા તમામે રાહત અનુભવી હતી.
રાજસ્થાનના મુસાફર માલૂમ થયા
વિવાદાસ્પદ ડબ્બાની સીટ પર પોલીસે તપાસ કરતા હનુમાનગઢ રાજસ્થાનથી દિપીકા અભિષેક મોદી તેમના પિતા શ્યામ મુરારી સાથે મહેસાણા જઇ રહ્યાનું ખુલ્યું હતું અને તેને કોઇ દાઢીવાળા વ્યક્તિને ન જોયો હોવાની કબુલાત કરી હતી.