મુંબઇઃ આઇપીએલ ખેલાડીઓ પર આતંકી હુમલો થવાનો ખતરો મહેસૂસ થઇ રહ્યો છે. આ જાણકારી ખાનગી એજન્સીઓએ આપી છે. જાણકારી સામે આવ્યાં બાદ એલર્ટ જારી કરી દેવામાં આવેલ છે. ખાનગી એજન્સીઓ અનુસાર, આઇપીએલ ખેલાડીઓ પર હોટલ, રસ્તા અને પાર્કિંગમાં હુમલો થઇ શકે છે.
ખાનગી એજન્સીઓએ એટીએસ દ્વારા પકડવામાં આવેલ શંકાસ્પદ આતંકીઓની પૂછપરછ દ્વારા મળેલી જાણકારીને આધાર બનાવેલ છે. હકીકતમાં આતંકીઓએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેઓએ ટ્રાઇડેંટથી વાનખેડે સ્ટેડિયમ સુધીની રેકી કરી હતી. જાણકારી સામે આવ્યાં બાદ મુંબઇ પોલીસ એલર્ટ થઇ ગઇ છે. મુંબઇ પોલીસની બંદોબસ્ત શાખાને એલર્ટ રહેવા અને ખેલાડીઓની સુરક્ષા વધુ વધારવાનો નિર્દેશ જારી કર્યો છે.
બીજી બાજુ, ખેલાડીઓ પર આતંકી હુમલાનાં ખતરાને ધ્યાને રાખતા, તેઓની બસ સાથે એસ્કોર્ટ માટે માક્સમૈન કૉમ્બેટ વાહનનો ઉપયોગ કરવાનું કહેવામાં આવેલ છે. આ સિવાય હોટલ અને સ્ટેડિયમમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી રહી છે. મુંબઇ પોલીસે કોઇ પણ ખેલાડીને વગર સુરક્ષાએ બહાર નહીં જવા દેવાની ભલામણ કરી છે. આપને જણાવી દઇએ કે છેલ્લાં દિવસોમાં ન્યૂઝીલેન્ડનાં ક્રાઇસ્ટચર્ચની એક મસ્જિદમાં થયેલ ગોળીબારીમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનાં ખેલાડી માંડ-માંડ બચ્યાં હતાં. એક વીડિયો પણ સામે આવ્યો હતો કે જેમાં દેખાઇ રહ્યું હતું કે ખેલાડીઓ પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યાં હતાં.
બાદમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનાં ખેલાડી તમીમ ઇકબાલે ટ્વિટ કરીને કહ્યું કે, “ગોળીબારીમાં પૂરી ટીમ માંડ-માંડ બચી. ખૂબ જ ડર લાગે તેવો ભયાનક અનુભવ હતો.” આ ઘટના બાદ બાંગ્લાદેશનાં વિકેટકીપર મુશફિકુર રહીમ પણ એક મોટા શોકમાં હતાં. તેઓએ ટ્વિટ કરીને લખ્યું કે, “ક્રાઇસ્ટચર્ચની મસ્જિદની શૂટિંગ દરમ્યાન અલ્લાહે અમને બચાવી લીધાં. અમે ખૂબ જ ખુશનસીબ છીએ. જિંદગીમાં આગળ ક્યારેય પણ આવું જોવાં ન મળે એવી અમારે માટે પ્રાર્થના કરો.”