લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે રાજકીય પાર્ટીના નેતાઓ વાયદાઓની વણઝાર કરી રહ્યા છે. ત્યારે જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ અને પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ જણાવ્યુ કે રાજ્યમાં પીડીપી ફરીવાર સત્તામાં આવશે તો જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ અને જમાત એ ઈસ્લામી પર મુકવામાં આવેલા પ્રતિબંધને હટાવી દેશે. મહેબૂબા મુફ્તીએ આ પ્રકારનું નિવેદન ઉત્તર કાશ્મીરના બારામુલામાં આયોજિત એક કાર્યક્રમ દરમ્યાન આપ્યુ હતુ.
તેમણે જણાવ્યુ કે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ અને જમાત એ ઈસ્લામી પર પ્રતિબંધ મુકવાથી તેના પરિણામ સારા નહીં આવે. આમ કરવાથી ભાગલાવાદીઓમાં નિરાશાની ભાવના વધુ ભડકશે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ અને જમાત એ ઈસ્લામી પર ગત દિવસે પ્રતિબંધ લગાવ્યો હતો. બન્ને સંગઠન પર ઘાટીમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે જેથી તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે.