લોકસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થતા સુધીમાં પણ જાતિવાદનું ઝેર ઓકનારા નિવેદનો આવી રહ્યા છે.સમજૌતા એક્સપ્રેસ બોમ્બ બ્લાસ્ટમાંથી મુક્ત થયેલા સ્વામી અસીમાનંદે મુસ્લિમો માટે ટીકા કરતું નિવેદન આપ્યું છે.
મુંબઈમાં એક ઈન્ટરવ્યૂંમાં અસીમાનંદે કહ્યું કે, મુસ્લિમો માને છે કે, જે લોકો કુરાનમાં વિશ્વાસ નથી કરતાં તેમને જીવવાનો કોઇ હક નથી અને તેમની વધતી વસ્તી દુનિયા પર નિયંત્રણ કરી રહી છે.
અસીમાનંદે કહ્યું કે મુસ્લિમો ભારત અને સમગ્ર દુનિયા માટે એક મોટી સમસ્યા બની ગયા છે. સમાજમાં કાયમ મુસ્લિમોની સમસ્યા ચાલુ જ રહે છે.મેં ક્યારેય પણ તેમને ખતમ કરવા માટે વિચાર્યું નથી,પરંતુ ત્યારે હું ચોંકી ગયો હતો કે સમજૌતા બ્લાસ્ટ બાદ પોલીસ મને શોધી રહી હતી. મને તો ખબર પણ ન હતી કે, સમજૌતા શું છે, પણ મને સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું.
અસીમાનંદે આરોપ લગાવ્યો કે, પોલીસે તેમને હિંદુ આતંકવાદના નામે ફસાવ્યો હતો અને માનસિક ત્રાસ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અસીમાનંદને 2007 સમજૌતા બ્લાસ્ટ કેસમાં પંચકુલાની કોર્ટે મુક્ત કરી દીધા હતા. અગાઉ એનઆઈએની સ્પેશિયલ કોર્ટે માર્ચ 2017 અજમેર બ્લાસ્ટ કેસમાંથી પણ મુક્ત કર્યા હતા. એપ્રિલ 2018માં હૈદરાબાદ મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાંથી મુક્ત કરી દીધા હતા.
2007ના 17 ફેબ્રુઆરીના રોજ સમજૌતા એક્સપ્રેસમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 68 લોકોનાં મોત નિપજ્યા હતા. બાદમાં હૈદરાબાદમાં મક્કા મસ્જિદમાં બ્લાસ્ટ થયો, જેમાં 9 લોકોનાં મોત થઇ ગયા હતા. અને ઓક્ટોબર 2007માં અજમેરનાં ખ્વાજા ચિશ્તી દરગાહમાં બ્લાસ્ટને કારણે 3 લોકોનાં મોત નિપજ્યાં હતા. આ તમામ કેસમાં અસીમાનંદની ધરપકડ કરાઇ હતી