અમદાવાદ: ગુજરાત લોકસભા ચૂંટણી 23મી એપ્રિલે યોજાવવાની છે. તે માટે ભાજપ, બીએસપી અને એનસીપીએ સ્ટાર પ્રચારકોની લિસ્ટ જાહેર કરી દીધી છે. ભાજપમાંથી પીએમ મોદીથી લઈને હેમા માલિની સહિતના 42 સ્ટાર પ્રચારક ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવશે. ભાજપે ફરીથી ગુજરાતમાં કોંગ્રેસને ક્લિન સ્વિપ કરવા માટેની રણનીતિ તૈયાર કરી દીધી છે.
3 મુખ્યમંત્રી, 7 કેન્દ્રીયમંત્રી અને 3 અભિનેતા
ગુજરાત લોકસભામાં માટે પીએમ મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ, શિવરાજસિંહ ચૌહાણ, દેવેન્દ્ર ફડનવીસ, નિર્મલા સીતારમન, ઉમા ભારતી, સ્મૃતિ ઈરાની, યોગી આદિત્યનાથ, હેમા માલિની, વંસુધરા રાજે સિંધિયા, ઓમ પ્રકાશ માથુર, વિજય રૂપાણી, પુરૂષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, પરેશ રાવલ, મનોજ જોશી અને વિવેક ઓબેરોયનો ભાજપના મુખ્ય સ્ટાર પ્રચારકમાં સમાવેશ થાય છે. ભાજપના 42 સ્ટાર પ્રચારકોમાં 17 સ્થાનિક નેતાઓ સામેલ છે. જેમાં નીતિન પટેલ, જીતુ વાઘાણી, ભીખુભાઈ દલસાણિયા, આર.સી.ફળદુ, હિતુ કનોડિયા, રમણ વોરા અને આઈ.કે.જાડેજાનો સમાવેશ કરાયો છે.
કોંગ્રેસે સ્ટાર પ્રચારક જાહેર નથી કર્યા
ભાજપની સાથે બીએસપી અને એનસીપીએ પણ પોતાના સ્ટાર પ્રચારક જાહેર કરી દીધા છે. બહુજન સમાજ પાર્ટી (BSP)માંથી માયાવતી, જ્યારે નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)માંથી શરદ પવાર, પ્રફુલ પટેલ અને સુપ્રિય સેલનું નામ જાહેર કરાયું છે. કોંગ્રેસ હજૂ સુધી કોઈ સ્ટાર પ્રચારકના નામ જાહેર કર્યા નથી.