વડોદરા: લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની બેઠક ભાજપે પ્રથમ યાદીમાં જ જાહેર કરી છે ત્યારે વડોદરા બેઠક માટે દાવેદારી કરતાં સ્થાનિક દાવેદારોની આશા જીવંત બની છે અને કેટલાક આગેવાનોએ પોતાના દાવાના મજબુત કરવા માટે દિલ્હીમાં ધામા નાંખ્યા હોવાની વિગત પ્રકાશમાં આવી છે.
આ 26 પૈકી એક બેઠક માટે ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે તો કોંગ્રેસે ચાર બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે ગાંધીનગર બેઠક પરથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનુ નામ જાહેર કર્યુ છે તો નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. આ સંજોગોમાં, ગુજરાતની બાકી રહેલી 25 બેઠક માટે નામોની પેનલ લઇને મુખ્યમંત્રી,પ્રદેશ ભાજપ પ્રમુખ અને ચૂંટણી સમિતિના આગેવાનો દિલ્હી પહોંચ્યા હતા અને ત્યાં વડાપ્રધાન સાથે પણ ચર્ચા કરી હતી.
વડોદરા બેઠક પરથી નરેન્દ્ર મોદી ચૂંટણી લડે તેવી શકયતા હવે નહીવત બની છે ત્યારે સ્થાનિક દાવેદારો ગેલમાં આવી ગયા છે. વડોદરા બેઠક પરથી સાંસદ રંજનબહેન ભટ્ટ,મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા ડો.જ્યોતિ પંડ્યા, પરાક્રમસિંહ જાડેજા,કિરણ મહિડા(ચા વાળા) સહિત 28 જેટલા સ્થાનિક આગેવાનોએ દાવેદારી નોંધાવી છે.જોકે, એક જૂથે કોંગ્રેસમાંથી પાટીદાર ઉમેદવાર છે તો તેમની સામે પાટીદાર આગેવાનને ટિકિટ આપવા માટેની માંગણી ઉપર મૂકી છે તો તેની સાથોસાથ બે મહિલા પાટીદાર આગેવાનોના નામો પણ વહેતા થતાં ચર્ચાનો વિષય બન્યો છે.વડોદરા બેઠક માટે દાવેદારી વધુ મજબુત કરવા માટે કેટલાક સ્થાનિક આગેવાનોએ દિલ્હી દરબારમાં ધામા નાંખ્યા છે.