નવી દિલ્હીઃ આ વખતે ગણતંત્ર દિવસે કોંગ્રેસ શાસિત મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનનાં ટેબલોને સામેલ કરવામાં ન આવતા કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મધ્યપ્રદેશ કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે, મોદી સરકારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મળેલી હારનો બદલો લીધો છે. ગણતંત્ર દિવસે પ્રદર્શિત કરાતા ટેબલો રાજ્યનું ગૌરવ અને જનતાનું માન-સન્માન હોય છે. મોદી સરકારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના ટેબલોને બહાર કરીને રાજ્યનાં ગૌરવને ઠેસ પહોંચાડી છે. જેના માટે જનતા મોદી સરકારને ક્યારેય માફ નહિ કરે.
કોંગ્રેસે મોદી સરકારને પ્રશ્ન કરતા કહ્યું કે, ચૂંટણીમાં મળેલી હારનો બદલો રાજ્યની અસ્મિતા અને સ્વાભિમાન સાથે કેમ લેવાઈ રહ્યો છે? મધ્યપ્રદેશ કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે, આ ભારતીય જનતા પાર્ટી અને પીએમ મોદીનો સૌથી ખરાબ બદલો છે. મહત્વનું છે કે, રક્ષા મંત્રાલયે તમામ રાજ્યો પાસે મહાત્મા ગાંધીની 150મી જયંતિની થીમ પર પ્રસ્તાવ માંગ્યો હતો. ત્યારબાદ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢે મહાત્માગાંધીની 150મી જયંતિ પર ટેબલોનો આઈડિયાનો ડેમો મોકલ્યો હતો, જેને પસંદગી સમિતીએ નકાર્યો હતો.