નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં એક અસામાન્ય ઘટના અંર્તગત ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાના પર આરોપ લાગ્યા પછી એક સ્પેશિયલ બેન્ચનું ગઠન કર્યું છે. સીજેઆઈ ગોગોઈ પર 35 વર્ષની મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ મહિલા 2018માં જસ્ટિસસ ગોગોઈના રહેઠાણ પર જૂનિયર કોર્ટ આસિસ્ટન્ટના પદ પર હતી. મહિલાનો દાવો છે કે, યૌન શોષણની ઘટના પછી તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી હતી. આ મહિલાએ તેની એફિડેવિટની કોપી 22 જજને મોકલી હતી. આ આધાર પર ચાર વેબ પોર્ટલે ચીફ જસ્ટિસ વિશે ન્યૂઝ પ્રકાશિત કર્યા હતા. ત્યારપછી ચીફ જસ્ટિસે શનિવાર હોવા છતા વિશેષ સુનાવણીમાં કહ્યું કે, મેં આજે કોર્ટમાં બેસવાનો આ અસામાન્ય અને અસાધારણ નિર્ણય લીધો છે કારણકે આ વાત હવે હદ કરતા વધારે વધી ગઈ છે.
વિશેષ બેન્ચ સવારે જ બનાવવામાં આવી: સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટના પદાધિકારીઓ સામે કહ્યું કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ વિરુદ્ધ આરોપ લગાવવામાં આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ સંજીવ સુધાકર કલગાંવકરે કહ્યું કે, મહિલાના આરોપ નિરાધાર છે. ત્યારપછી સવારે 10.30 વાગે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે સુનાવણી શરૂ કરી હતી.
ચીફ જસ્ટિસે કહ્યું કે, મારે આગામી સપ્તાહમાં મહત્વના કેસની સુનાવણી કરવાની છે
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ગોગોઈએ કહ્યું કે, આગામી સપ્તાહે મારે મહત્વના કેસની સુનાવણી કરવાની છે. એવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે, તેની સુનાવણી હું ન કરું. ન્યાયપાલિકાની આઝાદી ખૂબ જ ગંભીર મુદ્દો છે. તેના પર વિશ્વાસ નથી થતો. મને નથી લાગતું કે આ આરોપો વિશે મારે નીચલા સ્તર પર જઈને કઈ કહેવું જોઈએ. ચીફ જસ્ટિસનો ઈશારો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટની અવગણના અને પીએમ મોદીના જીવન પર આધારિત ફિલ્મ સાથે જોડાયેલા કેસની સુનાવણી તરફ હતો.
સીજેઆઈએ કહ્યું- ઈજજ્ત કરતાં કોઈ વાત મોટી નથી
- સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ગોગોઈ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, ઈજ્જતથી વધારે મોટી કોઈ વસ્તુ નથી. મેં જીવનમાં માત્ર ઈજ્જત જ કમાઈ છે. મારા પર લાગેલા આરોપો નિરાધાર છે. મેં 20 વર્ષ જજ તરીકે નિસ્વાર્થ સેવા કરી છે. મારી પાસે માત્ર રૂ. 6.80 લાખ જ બેન્ક બેલેન્સ છે. પીએફમાં 40 લાખ રૂપિયા છે.
- મારા પ્યૂન પાસે મારા કરતા વધારે સંપત્તિ છે. કોઈ મને પૈસાના મામલે ફસાવી શકે તેમ નથી. લોકોએ મને ફસાવવા માટે બીજો કોઈ મુદ્દો શોધવો પડશે.
- આ આરોપ પાછળ પણ કોઈ મોટી તાકાત હોઈ શકે છે. તેઓ સીજેઆઈના પદને નિષ્ક્રિય બનાવી દેવા માગે છે. 20 વર્ષની સેવા પછી એક સીજેઆઈને આ ફળ મળતું હોય છે.
- ‘…પરંતુ હું ખુરશી પર બેસીશ અને મારું ન્યાયિક કામકાજ નીડર થઈને કરીશ. ન્યાયપાલિકાને બલિનો બકરો નહીં બનવા દઉં.’
જસ્ટિસ મિશ્રાએ કહ્યું- આવા આરોપોના કારણે લોકોનો ન્યાયપાલિકા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે: સુનાવણી દરમિયાન જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું- અમે દરેક ન્યાયપાલિકાની સ્વતંત્રતા વિશે ચિંતા કરી રહ્યા છીએ. લોકોને ન્યાયિક વ્યવસ્થામાં વિશ્વાસ છે. આ પ્રમાણેના આરોપોથી લોકોનો ન્યાયપાલિકા પરથી વિશ્વાસ ઉઠી જશે.