માંગરોળના લોએજ ગામ નજીક રાજકોટના જાનૈયાઓની એક કારને અકસ્માત નડતા વરરાજાના ત્રણ સંબંધીના મોત થયા હતા. જ્યારે બન્ને કારમાં બેઠેલા 9 વ્યક્તિઓને ઇજા થઇ હતી.
માંગરોળનાં માંડવી ગેઈટ નજીક બજરંગ વાડીમાં દરજી પરિવારમાં બે બહેનોનો લગ્ન પ્રસંગ હતો. જેમાં એક જાન રાજકોટથી આવી હતી. જેમાં સામેલ વરરાજાના પિતરાઈ ભાઈ, ભાભી સહિત ત્રણ લોકો જમણવાર પતાવી મારૂતિ કાર નં.GJ-03-KF-1783માં નજીકના લોએજ ગામે આવેલા પ્રસિદ્ધ સ્વામીનારાયણ મંદિરે દર્શન કરવા ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે માંગરોળ આવવાને બદલે રસ્તો ભુલી જતા શીલ તરફ ચાલ્યા ગયા હતા. પરંતુ થોડે દુર પહોંચતા ખ્યાલ આવતા તેઓ અહીં પરત આવતા હતા. તે સમયે સામેથી આવતી સ્કોર્પીયો નં.GJ-03-CE-8979 સાથે મારૂતિ અથડાઈ હતી. ભયાનક અકસ્માત થતાં મારૂતિમાં સવાર કમલભાઈ અમૃતભાઈ સોલંકી, નીશાબેન સોલંકી તથા મીનાબેન ધાનક (રહે. તમામ રાજકોટ)ના મોત થયા હતા. જ્યારે કંચન વિરમભાઈ સોલંકી રચનાબેન હમીરભાઈ સોલંકી (ઉ.વ.૫), ઈશાબેન નારણભાઈ સોલંકી (ઉ.વ.10), વિરજીભાઇ પાંચાભાઈ સોલંકી(ઉ.વ.28)ને સારવાર આપવામાં આવી હતી અને સરમણભાઈ પાંચાભાઈ સોલંકી (ઉ.વ.40), નારણભાઈ હમીરભાઈ સોલંકી (ઉ.વ.40), જશુબેન નારણભાઈ સોલંકી (ઉ.વ.15), તથા પુજાબેન નારણભાઈ સોલંકી(ઉ.વ.2)ને વધુ સારવાર અર્થે રીફર કર્યા હતા.
દર્શન કરીને પરત ફરતા હતા
પોરબંદરના જાંબુના વતની હોવાનું તથા કાણેકથી દર્શન કરી પરત ફરી રહ્યા હોવાનું જાણવા મળેલ હતું. આ કરૂણ બનાવને પગલે શુભ પ્રસંગનો ઉત્સાહ અને ઉમંગ શોકમાં પલ્ટાયો હતો.