રાજકોટ: રાજકોટમાં બે ટ્રેન વચ્ચે મોટો અકસ્માત ટળ્યો હતો. જેમાં રેલવે કર્મચારી ભીમાભાઇ અને ગેટમેન જુવાનસિંહની સતર્કતાથી મુસાફરોની જિંદગી બચી ગઇ હતી. બંનેના કાર્યને રેલવે વિભાગ દ્વારા રોકડ પુરસ્કાર અને સર્ટિફિકેટ આપી સન્માનવામાં આવ્યા હતા.
જામનગર-બાન્દ્રા અને પોરબંદર-હાવડા ટ્રેનને રાજકોટ સ્ટેશને રોકી દીધી
રાજકોટ-ખંઢેરી વચ્ચે રેલવે લાઇન પાસેથી પસાર થતાં ભીમાભાઇને રેલવેના પાટા એક સ્થળે તૂટી ગયેલાં હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને લઈને તેઓ તુરંત ગેટમેન જુવાનસિંહ પાસે દોડી ગયા હતાં. ગેટમેન જુવાનસિંહ જાડેજાએ પણ કોઇ પણ દલિલ કર્યા વગર ભીમાભાઇની વાત પર વિશ્વાસ કરી તુરંત જ કંટ્રોલમાં જાણ કરી હતી અને કંટ્રોલ દ્વારા જામનગર-બાન્દ્રા અને પોરબંદર-હાવડા ટ્રેનને રાજકોટ સ્ટેશને રોકી દેવામાં આવી હતી.
પાટો બદલાવ્યા બાદ બંને ટ્રેનને રવાના કરી હતી
બીજી તરફ રેલવેની ઇમરજન્સી ટીમ દોડી ગઇ હતી અને પાટો બદલાવ્યા બાદ આ ટ્રેક પરથી જ બંને ટ્રેનોને પસાર કરાઇ હતી. જો પરાપીપળિયા નિવાસી ભીમાભાઇએ સતર્કતા ન વાપરી હોત તો આ બંને ટ્રેનો વચ્ચે ખૂબ મોટો અકસ્માત થયો હોત! ગેટમેન જુવાનસિંહે પણ તુરંત જ રાજકોટ સ્ટેશને જાણ કરી દીધી એટલે ટ્રેનોને રોકી દેવાઇ હતી.
જેને પગલે DRM પી.બી.નિનાવે, ADRM એસ.એસ. યાદવ અને સુરક્ષા અધિકારી બી.કે.સિંહ દ્વારા ભીમાભાઇ અને જુવાનસિંહનું સન્માન કરી અનુક્રમે રૂા.બે હજાર અને રૂા.1 હજારના રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતાં.