રાજકોટ:ફેમિલી કોર્ટમાં કોઇ કારણ વગર પતિએ પત્ની સાથે છૂટાછેડાની અરજી કરી હતી. જે અરજીમાં અદાલતે પતિને 30 દિવસમાં અપનાવી પત્નીને તમામ હક્કો આપવા આદેશ કર્યો છે. શહેરના એરપોર્ટ રોડ, મારુતિનગર-3માં રહેતા બિલ્ડર અમિત મહેન્દ્રકુમાર ભીમજિયાણી નામના બિલ્ડર યુવાનના સાવરકુંડલાની નીતા સાથે 2009માં લગ્ન થયા હતા. સુખી સંપન્ન પરિવારનો ખુશીનો માહોલ લગ્નના માત્ર બે મહિનામાં જ વિસરાઇ ગયો હતો.
પત્ની નીતા ઉગ્ર સ્વભાવની હોવાનું કારણ બતાવી બિલ્ડર પતિ અમિતે 2011માં પત્ની નીતાનો ત્યાગ કરી તેની સાથે છૂટાછેડા લેવા અરજી કરી હતી. બંનેપરિવારોના પ્રયાસો છતાં કોઇ હલ નહીંઆવતા પત્ની નીતાએ 2013માં એડવોકેટ લલિતસિંહ જે.શાહી મારફત ફેમિલી કોર્ટમાં પોતાના લગ્નજીવનના હક્કો મેળવવા અરજી કરી હતી. દરમિયાન પત્નીની અરજીને પગલે બિલ્ડર પતિએ વળતી અરજીમાં આક્ષેપ કરતાં કહ્યુંકે,અમે ઘણા પ્રયત્નો કરવા છતાં તેણીએ લગ્નજીવન ના હક્કો પૂરા કર્યા નથી. એટલું જ નહીં તેણીએ અમારી સામે ખોટા કેસ કર્યા છે. જેથી પત્ની નીતાની અરજીને રદ કરવા જણાવ્યું હતું.
પતિ-પત્નીની અરજીઓની સુનાવણી જજ જયશ્રીબેન બુધ્ધભટ્ટીની કોર્ટમાં શરૂ થઇ હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ ફેમિલી કોર્ટે બિલ્ડર અમિત ભીમજિયાણીની છૂટાછેડાની અરજીને નકારી કાઢ્યા બાદ નીતાના લગ્નજીવનના હક્કો પુન:સ્થાપન કરવાની અરજીને માન્ય રાખી હતી અને બિલ્ડર પતિ અમિતને હુકમના 30 દિવસમાં પત્ની નીતાને તેના હક્ક પૂરા કરવા સાથે લઇ જઇ અપનાવી લેવા ફેમિલી કોર્ટે આદેશ કર્યો છે.