રાજકોટ શહેરમાં ભળેલ વોર્ડ નં.૧૮ કોઠારીયા ગામના શિતળા ધાર વિસ્તારમાં સરકારી ખરાબા સર્વે નં. ૩પરમાં આડેધડ દબાણ ખડકાઇ રહ્યા છે, ભૂમાફીયાઓ સરકાર ખરાબાની આ વિશાળ જમીન પર નાના-પ્લોટો બનાવી ૧૦ હજાર મકાનો બનાવી પરપ્રાંતિયોને વેચી માર્યા કલેકટરને ફરિયાદ.
રાજકોટ, કોઠારીયા સોલવન્ટ પાસે રહેતા ધિરેનભાઇ મકવાણાએ કલેકટરને ફરીયાદ કરી ગામના સરકારી ખરાબા સર્વે નં.૩પરમાં શિતળાધાર વિસ્તારના બની ગયેલા અને બની રહેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માંગણી કરી છે. ફરીયાદમાં ઉમેર્યું હતું કે, થોડા સમય પહેલા રાજકોટ શહેરમાં ભળેલ કોઠારીયા ગામના શિતળા ધાર વિસ્તારમાં તે શહેરના વોર્ડ નં. ૧૮માં કોઠારીયા સોલવન્ટમાં આવેલી જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટની જગ્યા પાછળ આવેલી છે.
આ વિસ્તારમાં ડાયા ગઢવી નામના શખ્સે વર્ષો પહેલા માતાજીના મંદિરના નામે દબાણ કર્યું હતું જે બાદ તેમણે આ જગ્યા વેંચી મારી હતી. રાજુ અલગોતર, નારણ ભરવાડ, તેજા ભરવાડ, અલા ભરવાડ, દેવા ભરવાડ, ગીગા ભરવાડ, સહિતના શખ્સોએ સાથે મળીને સરકારી જમીન વેચી મારવામાં આવી છે આ ભૂમાફીયાઓ સરકાર ખરાબાની આ વિશાળ જમીન પરપ્રાંતિયોને ગેરકાયદેસર રીતે વેંચી મારી રહ્યા છે. આ શખ્સોએ નાના-નાના પ્લોટો બનાવીને તેના પર આશરે ૧૦ હજાર જેટલા મકાનો બાંધીને જરૂરીયાતમંદ પરપ્રાંતિયોને વેંચી માર્યા છે. હાલમાં આ વિસ્તારમાં મોટા ભાગે પરપ્રાંતિયો અને તેના પરિવાર કોઇપણ પ્રકારના આધાર પુરાવા વગર રહી રહ્યા છે.
ઉપરાંત જાય સરદાર ગૌ શાળાના પાછળના ભાગમાંથી પસાર થતા વોંકળા પર બુટીયા ભરવાડ, વિઠ્ઠલ ભરવાડ. સહિતના શખ્સો દ્વારા દબાણ કરીને તેના પર નાના-મકાનો બનાવવાની કામગીરી શરૂ કરી છે. આ ખરાબાની જમીન કલેકટર તંત્ર હસ્તક હોય, તલાટીથી માંડીને મામલતદાર કક્ષાના અધિકારીઓની રહેમ નજર તળે આ ગેરકાયદેસર દબાણ કરીને બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ ભૂમાફીયાઓને અમુક રાજકીય નેતાનું સીધુ પરિબળ હોય અત્યાર સુધી કોઇ જ કામગીરી કરવામાં આવી નથી.
આ દબાણમાં સ્થાનિક કોર્પોરેટરની પણ સંડોવણી હોય તાજેતરમાં યોજાયેલ જનરલ બોર્ડમાં પણ મુદે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થયા હતાં. મારી વિનંતી છે કે આ અંગેની નિષ્પક્ષ તપાસ કરાવીને સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર ઉભા થયેલા મકાનોને તોડી પાડવા તથા વોંકળાના વહેમાં બની રહેલા મકાનોના દબાણને તોડી પાડવા ડીમોલેશન હાથ ધરવામાં આવે તથા આ જમીન દબાણ કરનાર ભૂમાફીયા શખ્સો સામે પાસા જેવી કડક કાર્યવાહી કરવામાં આવે.
આ ભૂમાફિયા શખ્સો વિરુદ્ધ મુખ્યમંત્રીશ્રી, તેમજ શહેરી વિકાસ મંત્રી અને સચિવ શ્રી, શહેરી વિકાસ સુધી આ તમામ ભૂમાફિયાઓ વિરોધ ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદીની માંગ પ્રમાણે સરકારી જમીન વેચી મારવાના ગુનામાં તમામને પાસા તળે સજા આપો તેવી માંગ કરી છે.