ગુજરાત : રાજ્યમાં ગમરીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે ઘણા શહેરોનું તાપમાન 45 ડિગ્રીસેલ્સિયસને પણ આંબી ગયુ છે. બીજીબાજુ રાજ્યના 203 જળાશયોમાં પાણીનો જથ્થો માત્ર 23.15 ટકા જ રહેતાં આગામી સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. જેના પગલે પાણીનો દૂરૂપયોગ અટકાવવા મીટરપ્રથા લાગુ કરવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. ત્યારે લોકો પાણીની સમસ્યાનાં કારણે હેરાન પરેશાન થઇ રહ્યા છે. રાજ્યના 203 જળાશયોમાં નિયત પુરવઠા કરતાં હાલ માત્ર 23.15 ટકા જ પાણીનો જથ્થો હોવાની વિગત ગાંધીનગર સ્થિત પાણી પુરવઠા વિભાગ દ્વારા મળી છે. સૌથી વધુ વિકટ સમસ્યા સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં થવાની સંભાવના છે. રાજ્યનાં 174 જળાશયોમાં 25 ટકા કરતાં પણ ઓછો પાણી પુરવઠો પ્રાપ્ય છે. વળી 22 જળાશયોમાં 25 થી 50 ટકા, 4 જળાશયોમાં 50 થી 75 ટકા અને 3 જળાશયમાં 75 ટકા કરતાં વધુ પરંતુ 100 ટકા કરતાં ઓછો પાણી પુરવઠો પ્રાપ્ય છે. રાજ્યના એકપણ જળાશય સંપૂર્ણ ભરાયેલાં નહીં હોવાની માહિતી પણ ગાંધીનગર સ્થિત પાણી પુરવઠા વિભાગ દ્વારા મળી છે.
રાજ્યનાં 203 જળાશયોમાં માત્ર 23.15 ટકા જ પાણીનો પુરવઠો પ્રાપ્ચ છે. જ્યારે રાજ્યનાં 14 જિલ્લાનાં 60 તાલુકાનાં 483 ગામમાં આજે પણ ટેન્કરરાજ અમલી છે. સરકારની પાણીની યોજના છે. પરંતુ વહીવટીતંત્ર દ્વારા યોજનાનાં અમલમાં ત્રૂટિ હોવાના કારણે પાણીની વિકટ સમસ્યા સર્જાઇ રહી હોવાનુ સતત સામે આવી રહ્યુ છે. હવે જો પ્રજા પણ પાણીનો સંયમપૂર્વક ઉપયોગ નહીં કરે તો આગામી સમયમાં પાણી માટે પણ મીટર પ્રથા લાગુ કરાશે અને પાણીનાં ઉપયોગ પ્રમાણે વેરો વસૂલ કરવાના દિવસો પણ દૂર નહી રહે. પ્રજા જાગૃતિ દાખવી પાણીનો સદુપયોગ કરે ત્યારે જ પાણીની સમસ્યા હળવી થઇ શકે છે.