મિર્ઝાપુર: કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીની ગંગા યાત્રાનો આજે છેલ્લો દિવસ છે. મિર્ઝાપુરના ચુનારથી પ્રિયંકા રસ્તા માર્ગે રામનગર પહોંચ્યા. અહીં મોદીના નારા લગાવનાર ભાજપના કાર્યકર્તાઓને કોંગ્રેસના કાર્યકર્તાઓએ દોડાવી દોડાવીને માર્યા. પ્રિયંકા ગાંધી રામનગરથી બોટમાં સવાર થઈને અસ્સી ઘાટ પહોંચ્યા છે. અસ્સી ઘાટ પર મલ્લાહ સંમેલનને સંબોધિત કરી રહ્યાં છે.
આ પહેલાં રામનગરમાં તેઓએ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમા પર માલ્યાર્પણ કર્યાં. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ પ્રિયંકા પર ફુલ વરસાવી સ્વાગત કર્યું અને સૂત્રોચ્ચારો કર્યાં. અહીં પ્રિયંકાએ લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર દિવાકર શાસ્ત્રી સાથે મુલાકાત કરી.
આ પહેલાં પ્રિયંકાના કાર્યક્રમમાં બુધવારે સામાન્ય બદલાવ કરવામાં આવ્યો છે. હવે તેઓ મિર્ઝાપુરથી રામનગર માટે કારથી રવાના થયાં છે. રામનગરમાં તેઓ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના ઘરે જશે. આ ઉપરાંત કાશી સુધીની સફર ફરી એક વખત હોડીથી કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મિર્ઝાપુરમાં ગંગામાં પાણી ઓછું થવાના કારણે હોડીથી જવાની મંજૂરી મળી ન હતી.
પ્રિયંકા કાશીમાં બાબા વિશ્વનાથ મંદિર અને કાશીના કોતવાલ કાલ ભૈરવ મંદિરમાં પૂજા અર્ચના કરશે. પ્રિયંકા પુલવામા હુમલામાં શહીદ થયેલાં CRPFના જવાન અવધેશ યાદવ અને રમેશ યાદવના પરિવાર સાથે મુલાકાત કરશે. સાંજે તેઓ દિલ્હી જવા રવાના થશે. જો કે કાર્યક્રમમાં ફેરફારને કારણે ચુનારમાં તેઓ દરગાહ અને શીતળા માતાના મંદિરે જઈ શક્યા ન હતા.