નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આવનારી લોકસભા-2019માં બે બેઠક પર ચૂંટણી લડી શકે છે. આ બે બેઠકોમાં રાહુલની ઉત્તરપ્રદેશની પરંપરાગત બેઠક અમેઠી સિવાય મહારાષ્ટ્રની નાંદેડ અથવા મધ્યપ્રદેશની કોઇ એક લોકસભા સીટ હોવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે નાંદેડથી વર્તમાનમાં ભૂતપુર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ સાંસદસભ્ય છે.
ચવ્હાણને મળી શકે છે મહારાષ્ટ્રમાં મોટી જવાબદારી
અશોક ચવ્હાણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, રાહુલજી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેઆ દેશની કોઇ પણ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જો રાહુલજી નાંદેડથી ચૂંટણી લડવા ઇચ્છા રાખે તો તેમનું સ્વાગત છે. ઉલ્લેખનીય છે કે 2014માં ભૂતપુર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે ભાજપના ડીવી પાટિલને હરાવીને નાંદેડ બેઠક જીતી હતી. મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણીઓ પણ છે. એવુ પણ અનુમાન લાગી રહ્યું છે કે કોંગ્રેસ અશોક ચવ્હાણને મોટી જવાબદારી સોંપી શકે છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે અશોક ચવ્હાણને પણ જાહેર કરવામાં આવે.
અમેઠીમાં સ્મૃતિ ઇરાની રાહુલને આપી રહી છે મોટો પડકાર
રાહુલ ગાંધીએ અમેઠીમાં 2004, 2009 અને 2014માં લોકસભા ચૂંટણી જીતી હતી. 2014માં ભાજપની કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ રાહુલને મોટી ટક્કર અમેઠીની સીટ પર આપી હતી. રાહુલને 5,89,559 જ્યારે સ્મૃતિને 290853 વોટ મળ્યા હતા.
2014ની લોકસભા ચૂંટણી બાદ સ્મૃતિ ઇરાની સતત અમેઠીની મુલાકાતે આવતા રહે છે. તેઓ દરેક રેલીમાં ગાંધી પરિવારને નિશાનો બનાવીને હુમલા કરે છે. એવુ પણ અનુમાન છે કે આ વખતે ભાજપ ફરીથી સ્મૃતિ ઇરાનીને અમેઠીની બેઠક પર લોકસભાની ટિકિટ આપી શકે છે.
કોગ્રેસ મધ્યપ્રદેશની પણ કોઇક બેઠક રાહુલ ગાંધી માટે વિચારી રહી હોય એમ લાગે છે.