- Advertisement -
વડોદરાઃ 146 દિવસ પહેલાં રહસ્યમય રીતે ગુમ થઇ ગયેલા વડોદરા એફસીઆઇ કચેરીના અધિકારી પવન શર્માને શોધવા પોલીસની 2 ટીમ કામે લાગી હોવા છતાં હજું નક્કર કડી મળી શકી નથી. ચિંતીત બનેલા પરિવારે હવે પોલીસની નિષ્ફળતાના કારણે હોળી પછી ભૂખ હડતાલ કરવાનું નક્કી કર્યું છે.
પોલીસ તપાસમાં હજુ નક્કર કડી મળી નથી
વડોદરા શહેરની ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની કચેરીમાં ફરજ બજાવતા સહાયક પ્રબંધક પવનકુમાર શર્મા ગત 24 ઓકટોબરે રહસ્યમય રીતે ગુમ થઇ જતાં પરિવાર ચિંતીત બન્યો છે. સાડા ચાર માસથી ચાલતી પોલીસ તપાસમાં હજુ નક્કર કડી મળી નથી. પોલીસે દાવો કર્યો હતો કે, તપાસ ચાલી રહી છે અને ચારથી પાંચ રાજ્યોમાં પણ પોલીસની ટીમો પહોંચી હતી પણ કોઇ માહિતી મળી નથી. આ બાબતે પરિવારની શંકાના આધારે એફસીઆઇના અધિકારીઓ અને સહકર્મીઓની પણ પૂછપરછ કરીને નિવેદન લેવાયાં હતાં. કોલ ડિટેઇલના આધારે શકમંદોની તપાસ કરાઇ હતી, જ્યારે વોટ્સએપ મેસેજના આધારે પણ તપાસ કરાઇ હતી.
પોલીસની 2 ટીમે બે રાજ્યોમાં તપાસ કરી
પોલીસની 2 ટીમે બે રાજ્યોમાં પણ તપાસ કરી હતી. જોકે પવન શર્માની કોઇ ભાળ મળી ન હોવાથી ચિંતીત બનેલાં તેમની પત્ની, માતા અને ભાઇ તથા માતાએ ગત 10 માર્ચે પત્રકાર પરિષદ યોજી જો 10 દિવસમાં પવનને શોધવામાં નહીં આવે તો પોલીસ ભવનમાં ભૂખ હડતાલ કરવાની ચીમકી આપી હતી. પવનના મામા રામચન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે મેં બે દિવસ પહેલાં પણ પોલીસમાં જઇને તપાસ કરી હતી પણ પોલીસે કોઇ માહિતી મળશે તો જણાવીશું તેમ કહીને હાથ અદ્ધર કરી દીધા હતા.