વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં રહેતી અને માત્ર અઢી માસનું સંતાન ધરાવતી પરિણીતાએ કોઇક અકળ કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે વલસાડના શાકભાજી માર્કેટના 120 આવાસના રૂમ નંબર 53માં રહેતા મુકેશ સુરેશભાઇ નાયકા લારી ઉપર કટલરીનો સમાન વેંચીને ગુજરાન ચલાવે છે. તેના લગ્ન પૂનમ નામની યુવતી સાથે થયા હતા. તેણી વેજલપોર ગામે સાસુ અને સસરા સાથે રહે છે. દંપતીને હાલે સંતાન સુખ મળ્યું નથી.
આ દરમિયાન મુકેશ વલસાડ પારડીના કાશ્મીરનગરમાં રહેતી કાજલ નામની યુવતી વચ્ચે પ્રેમસંબંધો દોઢ વર્ષથી બંધાયા હતા. સંતાન સુખ નહીં મળતા મુકેશે તેની હયાત પત્ની પુનમ ય્ને કાજલના માતા-પિતા અને સમાજના લોકોની સલાહ સૂચન મુજબ કાજલે દોઢ વર્ષથી ઉપ પત્ની તરીકે રાખી તેની સાથે રહેતો હતો. જે બાદ મુકેશને કાજલ મારફતે અઢી માસની બાળકી શ્રદ્ધાનું સંતાન સુખ મળ્યું હતું.
કાજલ પતિને મદદરૂપ થવા પાથરણું પાથરી શાકભાજીનું વેચાણ પણ કરતી હતી. કાજલ શનિવારે નિત્યક્રમ મુજબ રસોઇ બનાવવા માટે ઘરે ગઇ હતી. બપોરે ત્રણ વાગ્યે મુકેશ રૂમે જમવા માટે ગયો હતો અને રૂમનો દરવાજો ખખડાવ્યો તો. પત્નીએ કોઇ જવાબ નહીં આપતા મુકેશે દરવાજાને જોરથી ધક્કો મારીને દરવાજો ખોલ્યો હતો. આ સમયે કાજલ દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં નજરે પડતા મુકેશે કાજલને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે કાજલને મૃત જાહેર કરી હતી.