નવી દિલ્હી: કેરળના સુપ્રસિધ્ધ તીર્થધામ-સબરીમાલામાં રજસ્વલા મહિલાઓના પ્રવેશને લઇને હજુ પણ ભારેલો અગ્નિ આસ્થાળુઓમાં પ્રવર્તી રહ્યો છે. કેરળ રાજ્યમાં આ મામલે તીવ્ર વિરોધ પણ અનેક જગ્યાઓ ચાલુ છે. મંગળવારે આ મામલે જોડાયેલી જનહિતની અનેક અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. આજે પણ સબરીમાલા મંદિરમાં પ્રવેશ અંગે પુનર્વિચાર અરજીઓ સાથે કુલ 64 જેટલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે જેના પર સમગ્ર હિંન્દુ સમુદાયની તેમજ રાજ્ય સરકારની નજર મંડાયેલી છે.
સબરીમાલામાં મહિલાઓ સાથે છૂતઅછૂતનો કિસ્સો નથી
સુપ્રીમ કોર્ટમાં નાયર સર્વિસ સોસાયટીની તરફથી વકીલ કે.પારાસરને જણાવ્યુ કે મહિલાઓના એક સમૂહને દેવતાઓના ચરિત્રના આધારે દૂર રખાયુ છે. આ પરંપરા ફક્ત નિશ્ચિત ઉંમરની સીમા ધરાવનાર મહિલાઓ માટે જ નક્કી કરવામાં આવી છે, પણ આને મહિલાઓ સાથે છૂતઅછૂતનો કિસ્સો ગણાવાય નહિ.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે
સુપ્રીમ કોર્ટમાં આ મામલે મુખ્ય ન્યાયમુર્તિ-રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ નરીમન, ન્યાયમૂર્તિ ખાનવિલકર, ન્યાયમૂર્તિ ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ ઇંન્દુ મલ્હોત્રાની બેંચ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે આપેલા એક ઐતિહાસિક નિર્ણયમાં જણાવ્યું કે સબરીમાલાના અયપ્પા મંદિરમાં 10 થી 50 વર્ષની આયુની મહિલાઓ પ્રવેશ કરી શકે છે.
SCનો નિર્ણય જનતાના વિશ્વાસ અને આસ્થાના વિરૂધ્ધનો છે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો અયપ્પાના કરોડો ભક્તોએ વિરોધ કર્યો છે. કેરળના હિંન્દુ સમાજ, અનેક હિન્દુ સંગઠનો અને ભાજપે પણ સુપ્રીમના આ નિર્ણયથી સહમત થયા નથી. સુપ્રીમે આ નિર્ણય 4:1ની બહુમતીથી આપ્યો હતો. હિંદુ સંગઠ્ઠનો વતીથી લડનારા વકીલોએ પણ સબરીમાલાના મામલે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયનો ખુલ્લો વિરોધ કર્યો છે. વકીલોએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય શ્રદ્ધાળુઓના વિશ્વાસ અને આસ્થાના વિરૂધ્ધનો છે.