અમદાવાદઃ ઉંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલે ધારાસભ્ય પદ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના 6 દિવસ થઈ ગયા છે. કોંગ્રેસ છોડ્યા બાદ તેઓ ભાજપનો ખેસ ધારણ કરે એવી ચર્ચા ચાલી છે. આ ચર્ચા વચ્ચે આશાબેન પટેલે ભાજપમાં જોડાવા અંગેનો નિર્ણય કરવા કાર્યકરો સાથે ઉંઝામાં સભા યોજી હતી. આ સભામાં સમર્થકોના મંતવ્ય લીધા બાદ સમર્થકોએ આશાબેન પટેલને ભાજપમાં જોડાવાની મંજૂરી આપી હતી. આમ હવે આશાબેન આવતીકાલે જીતુભાઈ વાઘાણી અને એમ. એલ. ખટ્ટરની હાજરીમાં ભાજપમાં જોડાશે.
રાત્રે 12 વાગ્યે રાજીનામાનો નિર્ણય લીધોઃ જ્યારે રાજીનામું આપવાને લઈ આશાબેને કહ્યું કે, મેં રાતના 12 વાગ્યે રાજીનામું આપવાનો લીધો હતો. મેં ઉતાવળમાં રાજીનામું લખીને આપ્યું હતું. મારા અક્ષર ખૂબ સારા છે પણ રાજીનામું ખૂબ ખરાબ અક્ષરે લખ્યું હતું. મેં રાજીનામું આપ્યું એની આગલી રાત્રે મને મહેસાણા નગરપાલિકાના નગરસેવકો મળવા આવ્યા હતા.