અમદાવાદ: સરકારના માનીતા અને ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર જે.કે. ભટ્ટની નિવૃત્તિના એક દિવસ પછી રાજ્ય માનવ અધિકાર આયોગના સભ્ય તરીકે નિમણૂક કરાઈ છે. આ નિમણૂકથી તેમને સરકારી બંગલો-ગાડીના લાભ યથાવત રહેશે.
ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું, રાજય માનવ અધિકાર આયોગમાં સભ્ય તરીકે જે.કે. ભટ્ટની નિમણૂક માટે મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નિર્ણય કરાયો હતો જેને રાજયપાલે મંજૂર કર્યો છે. ગૃહ રાજયમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજય માનવ અધિકાર આયોગ ત્રણ સભ્યોનું બનેલું છે. જેમાં આયોગના ચેરમેન તરીકે મણિપુર હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ અભિલાષા કુમારી અને નિવૃત જિલ્લા અને સેસન્સ જજ એમ.એચ.શાહ સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. પસંદગી સમિતિમાં મુખ્યમંત્રી ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાનો સમાવેશ થાય છે.
માનવ અધિકાર આયોગના સભ્ય તરીકે જે.કે.ભટ્ટને ચીફ સેક્રેટરીને સમકક્ષ સુવિધાઓ મળશે. તેમને ગાંધીનગર અથવા અમદાવાદ ખાતે સરકારી બંગલો, ડ્રાઇવર સાથેની સરકારી કાર, પ્યુન, પોલીસ ગાર્ડ, ટેલિફોન-મોબાઇલ સહિતની સુવિધાઓ તેમજ માનદ વેતન ઉપરાંત મિટિંગ અને મુસાફરી ભથ્થા પણ મળશે.જે.કે.ભટ્ટ સરકાર માટે ફાયરબ્રિગેડની જેમ કામગીરી કરતા હોઈ તેઓ સરકારની ગુડબુકમાં છે. સરકારને નડતા પ્રશ્નોનું નિરાકરણ કરવાની તેમની ફાવટ હતી.