નવી દિલ્હીઃ સરકારે દુશ્મનોના 4.43 કરોડ શેર વેચીને 1,150 કરોડ રૂપિયા પ્રાપ્ત કર્યા છે. આ શેર આઈટી કંપની વિપ્રોના હતા. કેન્દ્ર સરકારની સંસ્થા ધ કસ્ટડિયન ઓફ એનેમી પ્રોપર્ટી ફોર ઈન્ડિયા દ્વારા શેર વેચવામાં આવ્યા. જે લોકો 1968 પહેલા પાકિસ્તાન કે ચીનમાં જઈને વસી ગયા અને ભારતના નાગરિ ન રહ્યાં તેમની પ્રોપર્ટી કાયદા મુજબ દુશ્મનોની સંપતિ માનવામાં આવે છે.
દુશ્મનોના શેર વેચવાની પ્રક્રિયાને ગત વર્ષે મંજૂરી મળી હતી
ધ કસ્ટડિયન ઓફ એનેમી પ્રોપર્ટી ફોર ઈન્ડિયા દુશ્મનોની પ્રોપર્ટી અને શેરનો હિસાબ-કિતાબ રાખે છે. ગત વર્ષે નવેમ્બરમાં સરકારે ભારતીય કંપનીઓમાં દુશ્મનોના શેર વેચવાની પ્રક્રિયાને મંજૂરી આપી હતી.
બોમ્બે સ્ટોક એક્સચેન્જના ગુરૂવારના આંકડાઓ મુજબ સરકારે 258.90 રૂપિયાના ભાવે શેરનું વેચાણ કર્યું હતું. તેનાથી મળેલી રકમનો ઉપયોગ સમાજની ભલાઈના કામોમાં કરવામાં આવશે.
એનેમી પ્રોપર્ટી એક્ટ 1968ના જણાવ્યા પ્રમાણે એવી સંપતિઓ જે કોઈ દુશ્મનની છે અથવા તો તેના માટે મેનેજ કરવામાં આવી રહી છે. તેને દુશ્મનોની સંપતિ માનવામાં આવે છે. તેનાથી મળનારી રકમ સરકારના વિનિવેશ ખાતામાં જમા થાય છે. 1960ના દશકામાં ચીન અને પાકિસ્તાન સાથે ટકરાવ બાદ એનેમી પ્રોપર્ટી એક્ટ 1968 લાગુ કરવામાં આવ્યો હતો.