સાણંદ: સાણંદ નજીક આવેલ માધવનગર ગામે રહેતા યુવકનું ગઈકાલે રાતે અપહરણ કરી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુવકે વ્યાજે લીધેલા રૂપિયા ન ચૂકવતા વ્યાજખોરોએ ગાડીમાં અપહરણ કરી અજ્ઞાત સ્થળે લઈ જઈ લાકડી અને ધોકા વડે માર મારી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ લાશને માધવનગર બસ સ્ટેન્ડ નજીક ફેંકી ફરાર થઈ ગયા હતા. સાણંદ પોલીસે હત્યા અને અપહરણનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
મૂળ રાજસ્થાનનો સિકરના ઉટડી ગામનો રહેવાસી અને હાલમાં અમદાવાદ વિરમગામ હાઈવે પર સાણંદ નજીક આવેલા માધવનગર ગામમાં રહેતો સુમેરસિંહ મીણા ફ્લોરિંગ ટાઈલ્સનો કોન્ટ્રાક્ટર હતો. સુમેરસિંહે ગોધાવી ગામમાં રહેતા યોગેશ વાઘેલા નામના યુવક પાસેથી વ્યાજે બે લાખ રૂપિયા લીધા હતા. રૂપિયા ન ચૂકવતા ગઈકાલે રાતે યોગેશે તેના ત્રણ મિત્રો સાથે મળીને સુમેરસિંહનું કારમાં અપહરણ કર્યું હતું. અને અજાણી જગ્યા લઈ તેને મારમારી હત્યા કરી નાખી હતી. વહેલી સવારે લાશને માધવનગર બસ સ્ટેન્ડ પાસે ફેંકી ફરાર થઈ ગયા હતા.