નવી દિલ્હીઃ માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ મામલાની આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર 17 એપ્રિલ 2019ના રોજ ભાજપમાં જોડાઈ હતી. જેને ભારતીય જનતા પાર્ટીએ ભોપાલથી ચૂંટણી મેદાનમાં ઉતારી છે. પરંતુ સાધ્વી પ્રચારમાં ઉતરતાની સાથે જ વિવાદીત નિવેદનોમાં સપડાઈ ગઈ છે. પહેલા સાધ્વીએ મુંબઈ હુમલમાં શહીદ થયેલા હેમંત કરકરે વિશે વિવાદીત નિવેદન આપ્યું હતું, ત્યારબાદ તેમણે રામ મંદિર વિશે વિવાદીત મંતવ્ય રજુ કર્યું અને હવે મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસે પર નિવેદન આપીને ભાજપને મુશ્કેલીમાં મૂકી દીધું છે. ત્યારબાદ ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવું પડ્યું કે, ગોડસેવાળા નિવેદન પર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે માફી માંગવી પડશે. વિવાદ વધ્યાં બાદ અંતે સાધ્વી ગોડસેવાળા નિવેદન પર માફી માગી હતી અને કહ્યું હતું કે હું ગાંધીજીનું ઘણું જ સન્માન કરું છું.
ત્રણ વિવાદીત નિવેદનોએ ભાજપની મુશ્કેલી વધારી
પ્રજ્ઞા ઠાકુરના વિવાદીત નિવેદનોનો સિલસિલો મુંબઈ આતંકી હુમલાના શહીદ હેમંત કરકરે પર ટિપ્પણી કરીને શરૂ થયો હતો. ગત મહિને એપ્રિલમાં પ્રજ્ઞા ઠાકુરે આ પ્રકારે નિવેદન આપીને વિવાદ ઊભો કર્યો હતો. IPS અધિકારી હેમંત કરકરેનું 26/11ના મુંબઈ હુમલામાં તેમના શાપના કારણે મોત થયું હતું. ત્યારબાદ બાબરી મસ્જિદ પર ચઢીને તેનો ઢાંચો તોડી ગર્વ અનુભવવાની વાત કરી અને છેલ્લે તેને નથુરામ ગોડસેને દેશભક્ત કહીને ભાજપને વિવાદોમાં ઘેરાવા માટે મજબૂર કર્યા છે.
માલેગાંવ બોમ્બ વિસ્ફોટના આરોપમાં ધરપકડ અને તેની પર કરાયેલી કાર્યવાહી અંગે પ્રજ્ઞાએ કહ્યું હતું કે, તે સમયે મેં કરકરેને કહ્યું હતું કે તારો સર્વનાશ થશે. તેના સવા મહીનાની અંદર આતંકીઓના હાથે તે માર્યો ગયો હતો. ત્યારબાદ સાધ્વીએ માફી માગી અને નિવેદન પાછુ ખેંચી લીધું. કરકરે મુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ થયેલા હુમલામાં શહીદ થયા હતા. સાધ્વીના આ પ્રકારના નિવેદનોને કારણે ચૂંટણી પંચે તેના પ્રચાર કરવા પર 72 કલાક સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો.