- Advertisement -
સુરતઃપુલવામા થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનથી ઇમ્પોર્ટ થતી વસ્તુઓ પર ભારત સરકારે 200 ટકા ડ્યુટી નાંખી છે. ત્યારે સુરતના કાપડ એક્સપોટર્સે પણ સ્થાનિક માર્કેટમાં તૈયાર થતું મેન મેઇડ ફાઇબર – ફેબ્રિક્સ (એમએમએફ) નું પાકિસ્તાન જતું એક્સપોર્ટ ઘટાડી દીધું છે. એસઆરટીઇપીસીના આંક પ્રમાણે વર્ષ 2018-19ની શરૂઆતથી જ કાપડ પાકિસ્તાન જતું કાપડ એક્સપોર્ટ ઘટી ગયું છે.
પુલવામા હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનથી આયાત થતી વસ્તુઓ પર 200 ટકા ઇમ્પોર્ટ ડ્યુટી નાંખ્યા બાદ ત્યાંથી મર્યાદિત પ્રમાણમાં આવતા એમ્બ્રોડરી ડ્રેસ, બુરખા, દુપટ્ટા સહિત મખમલના કાપડના ડમ્પીંગને અસર થઇ છે. ત્યારે બીજી તરફ સુરતથી મોટા પ્રમાણમાં પાકિસ્તાન જતું મેન મેઇડ ફેબ્રિક્સ-ફાઇબર(એમએમએફ) કાપડ એક્સપોર્ટ પણ સતત ઘટી રહ્યું છે. એસઆરટીઇપીસીના ચેરમેન નારાયણ અગ્રવાલ સાથે થયેલી ચર્ચામાં જાણવા મળ્યું હતું કે, વર્ષ 2017-18ના નાણાંકીય વર્ષની સરખામણીએ વર્ષ 2018-19ના ડિસેમ્બર માસ સુધી એમએમએફ એક્સપોર્ટ ઘટ્યું છે. આ સાથ ઘણાં એક્સપોટર્સે પુલવામાં હુમલા બાદથી પાકિસ્તાન જતું એક્સપોર્ટ બંધ કરી દેવાની ચર્ચા કરી છે. જોકે તેની સાચી અસર એક મહિના પછી એટલે કે માર્ચમાં એક્સપોર્ટના આંકડા જાહેર થયા બાદ જાણી શકાશે.
ચેમ્બરની ટેક્સટાઇલ કમિટીના ચેરમેનના જ્ણાવ્યાનુસાર, પાકિસ્તાનના કરાચીમાં આવેલા લખનઊ માર્કેટમાં સુરતમાં તૈયાર થતાં એમએમએફની સાડી, લહેંગા સહિત બુરખાનું વેચાણ થાય છે. જેમાંયે રમઝાન માસ દરમ્યાન સુરતથી વાયા દુબઇ થઇને કાપડ પાકિસ્તાન પહોંચે છે. પુલવામાં અટેક પછી ટેક્સટાઇલ માર્કેટના મોટા એક્સપોટર્સે પણ તેમનું એક્સપોર્ટ ઘટાડી દેવાનું નક્કી કર્યું છે. સિન્થેટીક એન્ડ રેયોન એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ(એસઆરટીઇપીસી)ના ડેટા પ્રમાણે વર્ષ 2017-18(એપ્રિલ થી માર્ચ) 135.79 યુએસ મિલિયન ડોલર એટલે કે 958 કરોડનું એમએમએફ પાકિસ્તાન એક્સપોર્ટ થયું હતું. જેમાંથી વર્ષ 2017-18(એપ્રિલ થી ડિસેમ્બર) દરમ્યાન 107.18 યુએસ મિલિયન ડોલર એટલે કે રૂ.720 કરોડનું એક્સપોર્ટ નોંધાયું છે. જેની સામે વર્ષ 2018-19(એપ્રિલ થી ડિસેમ્બર સુધી) 87.39 યુએસ મિલિયન ડોલર એટલે કે 624 કરોડનું જ ભારત અને તેમાંયે ખાસ કરીને સુરતથી એમએમએફ કાપડનું પાકિસ્તાનમાં એક્સોપર્ટ થયું છે.