સુરતઃ કતારગામ પોલીસની ઢીલી તપાસને લીધે હત્યાના ગુનામાં અઢી માસથી લાજપોર જેલમાં બંધ કાયદાના સંઘર્ષમાં આવેલી કિશોરીનોનો આખરે જુવેનાઇલ કોર્ટે કબજો લઇ લીધો છે. જોકે, સુરતમાં કિશોરીઓનું જુવેનાઇલ હોમ ન હોય વડોદરા મોકલાઇ છે. આજે અમદાવાદ પોલીસ 14 વર્ષીય સગીરાનો વડોદરા રિમાન્ડ હોમમાંથી કબજો લેશે.
સગીરાને કોર્ટમાં રજૂ કરાઈ
કતારગામ પોલીસે લાજપોર જેલમાથી સગીર કિશોરીને કોર્ટમાં રજુ કરતા તેને જુવેનાઇલ રિમાન્ડ હોમમાં મોકલી આપી હતી. જે દરમિયાન અમદાવાદ પોલીસ પણ આજે સુરત હાજર રહી હતી. અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગત નવરાત્રી દરમિયાન ઘરેથી લાપતા થયેલી કિશોરીની ફરિયાદ નોંધાઇ હતી. જેથી અમદાવાદ પોલીસે પણ આ મામલે સર્ચ હાથ ધરી છે અને સુરત કોર્ટમાં હાજર રહી હતી.
શું હતી સમગ્ર ઘટના
કતારગામ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં કતારગામ ખાતે રહેતા કાનજી કુંભારને મેલી વિદ્યા ઉતારવાના બહાને મરનારના પત્ની, પુત્ર પુત્રવધુ તથા પુત્રીએ છાતી પર કૂદકા મારી આધેડ કાનજીભાઈનું મોત નીપજાવ્યું હતું.આ કેસમાં કતારગામ પોલીસે મરનારની હત્યાના ગુનામાં તમામને જેલ ભેગા કર્યા હતા. આ કેસમાં કતારગામ પોલીસે અમદાવાદથી લાપત્તા સગીર કિશોરીને પણ 19 વર્ષની બતાવી જેલ ભેગી કરી હતી.લાજપોર જેલમાં કેદ સગીર કિશોરીએ અમદાવાદ ખાતે રહેતી પોતાની મોટી બહેનને સુરતની લાજપોર જેલમાંથી ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી. જેથી સગીર કિશોરીના માતા-પિતાએ પોતાની પુત્રી સગીર હોવા છતાં પુખ્ત ગણીને કતારગામ પોલીસે લાજપોર જેલમાં મોકલી છે એવું સુરત કોર્ટમાં અરજી કરી હતી.
ઘોડદોડ રોડના જુવેનાઇલ હોમમાં 26 કિશોર
ઘોડદોડ રોડ ખાતે આવેલાં જુવેનાઇલ હોમમાં હાલ કાયદાના સંઘર્ષમાં 26 કિશોર છે. કિશોરીઓ માટે સુવિધા નથી. આથી જે કેસમાં કિશોરી કાયદાના સંઘર્ષમાં આવે તેવા કેસમાં તેનને વડોદરા સ્થિત રિમાન્ડ હોમમાં મોકલવામાં આવે છે. પરંતુ કેસ તો સુરતમાં જ ચાલે છે. નોંધનીય છે કે સગીરાના કેસમાં કાઉન્સિલિંગ બોર્ડ મેમ્બર પ્રતિભા દેસાઈએ કર્યું હતું.