સુરતઃ સરથાણા જકાતનાકા ખાતે આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં મોતને ભેટેલા 22 માસૂમાના મોતને લઈને શહેરભરમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પૂણા વિસ્તારમાં આવેલા મારૂતિ ધૂન મંડળ દ્વારા ચામુંડાનગરના ગેટ પાસે શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. ધૂન મંડળના સભ્યો દ્વારા માસૂમાના આત્માને શાંતિ માટે ધૂન કરવામાં આવી હતી.ધૂનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.
6 વર્ષથી મંડળ સેવા કરે છે
મારૂતિ ધૂન મંડળના પ્રમુખ હિતેશભાઈ મોણપરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છ વર્ષથી ધૂન મંડળની રચના કરવામાં આવી છે. ધૂન મંડળ દ્વારા એક પણ રૂપિયો લીધા વગર ધૂનના કાર્યક્રમો કરવામાં આવે છે. ધૂન મંડળમાં એક પણ રૂપિયો લીધા વગર 65 જેટલા સભ્યો સેવા આપે છે. હીરા, એમ્બ્રોઈડરી અને કાપડ સાથે સંકળાયેલા યુવકો રાત્રિ દરમિયાન સેવાના કામમાં જોડાય છે. ધૂન મંડળ કોઈ પાસે રૂપિયા માંગતુ નથી જે પણ આવક થાળમાં આવે તેમાંથી સામાજિક સેવા કરવામાં આવે છે.
મંડળ અંતિમયાત્રા રથ ચલાવે છે
ધૂન મંડળના વિપુલભાઈ લાઠિયાએ જણાવ્યું હતું કે, ધૂન મંડળ દ્વારા બે વર્ષથી અંતિમયાત્રા રથ ચલાવવામાં આવે છે. એક પણ રૂપિયો લીધા વગર રથ આપવામાં આવે છે. રથમાં સીસીટીવી,જીપીએસ અને એસીની સુવિધા અને ટેક્નોલોજી વાપરવામાં આવી છે. આ રથ મૃતકના સ્વજનોને એકપણ રૂપિયો લીધા વગર આપવામાં આવે છે. વરાછા રોડ પરના અંતિમ રથમાં આ રથ કદાચ સૌથી આધુનિક અને મોટો છે.
મુંગા પશુ પક્ષીઓ માટે રૂપિયા વપરાય છે
વિઠ્ઠલભાઈ કુનડીયાએ જણાવ્યું હતું કે, મારૂતિ ધૂન મંડળ સોસાયટીઓમાં સારા માઠા પ્રસંગમાં પોતાના માઈક સેટ સાથે પહોંચે છે. એક પણ રૂપિયો મંગાતો નથી સામેથી જે થાળમાં અપાય તે દાનનો મૂંગા પશુ પક્ષીઓ માટે ઉપયોગ કરવામાં આવે છે. વિધવા બહેનોને સહાય માટે કિટ પણ આપવામાં આવે છે.