- Advertisement -
નવી દિલ્હીઃ યુદ્ધ દરમિયાન ભારતીય જવાન દુશ્મન પર જોરદાર પ્રહાર કરી શકે તેના માટે સરકારે તેમને એકે-203 રાયફલથી સજ્જ કરવાની યોજના બનાવી છે. 7.5 લાખ રાયફલોની ખરીદી માટે રશિયાની કંપની સાથે કરાર કર્યાં છે. એકે-203 રાયફલ એકે 47નું અપગ્રેડ વર્ઝન છે. આનાથી સજ્જ થયાં પછી સેનાની મારક ક્ષમતામાં વધારો થશે.
હાલ સેના પાસે ઈન્સાસ રાયફલ
આર્મી, નેવી અને એરફોર્સ પાસે હાલ ભારતમાં તૈયાર કરવામાં આવેલી ઈન્સાસ રાયફલ છે. આ ઈન્સાસની જગ્યાએ તેઓને એકે-203 આપવામાં આવશે. તેના માટે રશિયાની કંપની સાથે કરાર કરવામાં આવ્યાં છે.
પહેલાં તબક્કામાં એકે-203 રાયફલ સેના, વાયુસેના અને નૌસેના આપવામાં આવશે. જે બાદ અર્ધસૈનિક અને રાજ્ય પોલીસ દળને પણ તેના સજ્જ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આગામી 15થી 20 વર્ષોમાં તમામ દળ આ રાયફલથી સજ્જ હશે.
અમેરિકી કંપની પાસેથી પણ ખરીદવામાં આવી રહી છે રાયફલ
રક્ષા મંત્રાલયે અમેરિકી કંપની પાસેથી પણ રાયફલ ખરીદવાનો કરાર કર્યો છે. 7.69 એમએમ બોરવાળી 59 કેલિબરની સિગસોર રાયફલ તે જવાનોને આપવામાં આવશે જે ઉગ્રવાદ અને આતંકવાદ સાથે સીધી રીતે મુકાબલો કરે છે.
સરકારનું માનવું છે કે એલઓસી પર પાકિસ્તાન સેના તેમજ આતંકીનો સામનો કરતાં સેનાના જવાનોની પાસે અત્યાધુનિક હથિયારો હોવા જરૂરી છે. હથિયારો પણ એવાં હોય જે જવાનોની દરેક જરૂરિયાતને પૂરી કરવામાં સક્ષમ હોય.
ઈન્સાસ રાયફલને લઈને સરકાર પાસે સતત ફરિયાદો આવે છે. 10 વર્ષ પહેલાં નવી રાયફલોની ખરીદવાની યોજના બની હતી પરંતુ કોઈને કોઈ વિઘ્ન આવતું હતું.