હરિયાણા: હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના રોહતકવાળા ઘરે શુક્રવારે સવાર સીબીઆઈએ દરોડા પાડ્યા છે. જે સમયે દરોડા પાડવામાં આવ્યા તે સમયે ભુપેન્દ્ર સિંહ હુડ્ડા ઘરમાં હાજર જ હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરોડા દરમિયાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના ઘરે મોટી સંખ્યામાં અધિકારીઓ હાજર હતાં. સીબીઆઈએ જમીન ફાળવણી કૌભાંડમાં દિલ્હી-એનસીઆમાં 30થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા છે.
વહેલી સવારે 5 વાગે સીબીઆઈ ઓફિસર્સ હુડ્ડાના ઘરે પહોંચ્યા
હુડ્ડાની શુક્રવારે જીંદના સેક્ટર-9માં રેલી થવાની હતી. સવારે 5 વાગે સીબીઆઈએ દરોડા પાડ્યા. ભૂપેન્દ્ર હૂડ્ડા જીંદ રેલીના કારણે રોહતક ઘરે જ રહ્યા હતા. પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના ઘરની અમુક કબાટના લોક ખોલવા માટે બે એક્સપર્ટને બોલાવવામાં આવ્યા હતા. તેઓ અંદાજે એક કલાક ઘરની અંદર રહ્યા હતા. બહાર આવીને રમેશ અને દારા સિંહે જણાવ્યું કે, તેમણે અંદાજે 6થી 7 કબાટના તાળા ખોલ્યા છે.
પહેલાં પણ હુડ્ડા પર લાગ્યા છે આરોપ
નોંધનીય છે કે, આ પહેલાં પણ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પર ઘણાં મામલે આરોપ લગાવવામાં આવ્યા છે. હરિયાણાના પંચકૂલામાં પ્લોટ ફાળવણીના કેસમાં થોડા દિવસ પહેલાં જ ચાર્જશીટ દાખલ કરવાની મંજૂરી મળી છે. નોંધનીય છે કે, તેમના પર ચાર્જશીટ દાખલ કરવા માટે રાજ્યપાલની મંજૂરી મળવી જરૂરી હતી.
હુડ્ડા પર આરોપ હતો કે, તેમના રાજમાં નેશનલ હેરાલ્ડની સહયોગી કંપની એજેએલને પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. જોકે તે પ્લોટ પર કોઈકામની શરૂઆત કરવામાં આવી નહતી. તે વિશે સીબીઆઈએ કેસ પણ કર્યો હતો. પંચકૂલા કેસ સિવાય ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પર ગુડગાંવમાં જમીન ફાળવણીનો એક કેસ પણ ચાલી રહ્યો છે. તે કેસમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના?
મુખ્યમંત્રી હતા તે દરમિયાન હુડ્ડા હરિયાણાના શહેરી વિકાસ મંત્રાલયના અધ્યક્ષ પણ હતા. ત્યારે પ્લોટ ફરી એજેએલને ફાળવવામાં આવ્યો હતો. હુડ્ડા અને એજેએલના અધિકારીઓ પર વર્ષ 2005માં ગેરકાયદેસર રીતે પ્લોટની ફરી ફાળવણી કરવાનો આરોપ છે. પંચકૂલા સેક્ટર 6માં પ્લોટની સંખ્યા સી-17ને 29 જૂન 2005માં એજએલને ફરી ફાળવવામાં આવ્યો હતો. આ પ્લોટ અંદાજે 3,360 સ્કેવર મીટરનો છે.