છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવાએ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ આજે ભર્યું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી જાહેર સભા માં મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કોંગ્રેસ ના મેનિફેસ્ટો સંદર્ભે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તમે હવે ગરીબોને નાણાં અને નોકરી આપવાનું વચન આપો છો, તો અત્યાર સુધી કેમ આપ્યા નહીં તમારા સમયમાં ગરીબો બેંકમાં જઇ શકતા ન હતા. ભાજપ બેંકોને પ્રજાના ઘરે મોકલી દીધી છે.
મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં તમે મત આપતી વખતે યોગ્ય નિર્ણય લેજો. આપણે ભારતમાં દિવાળી કરવાની છે, જો અન્ય જગ્યાએ મત જશે તો પાકિસ્તાનમાં દિવાળી થશે. આપણી આ વખત ની લડાઇ આરપારની છે. ભારતને આપણે શક્તિશાળી દેશ બનાવવો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા માટે ભાજપ સરકારની જરૂરીયાત છે 10 વર્ષ સુધી દેશમાં કોંગ્રેસના વડાપ્રધાન મનમોહનસિંગ જેઓ સોનિયા ગાંધીના રિમોટ કન્ટ્રોલ તરીકે કામ કરતા હતા, તે સમયે ઘણા મોટા કૌભાંડો થયા એક ડઝન મંત્રીઓ જેલમાં ગયા અને તે 10 વર્ષમાં દેશ સ્તબ્ધ થઇ ગયો હતો પ્રજામાં હતાશા આવી ગઈ હતી. નરેન્દ્ર મોદીએ પોતાને દેશના સેવક ગણાવ્યા અને મારી સરકાર ગરીબોની હશે તેમ પ્રજાને સંદેશો આપ્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશમાં એનડીએની સરકારે જનધન આવાસ યોજના સહિત અનેક યોજના ઓ થકી દેશને નવી દિશા આપી છે. કોંગ્રેસે માત્ર પરિવારવાદ દ્વારા દેશનું સાસન ચલાવ્યું છે. એ પણ 52 વર્ષ શાસન કર્યું ત્યારે ગરીબો દેખાયા નથી. આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસના નેતાઓએ મતદારોને ભોળવીને માત્ર મત લીધા છે, વિકાસ કર્યો નથી રસ્તા. બ્રિજ, રોડ-રસ્તા અને ચેકડેમો બનાવ્યા નથી. ભાજપની સરકારે વન બંધુ કલ્યાણ યોજનામાં 87 હજાર કરોડ વાપર્યા છે અને પ્રજાને લાભ આપ્યા છે. જંગલની જમીનો પણ આપવામાં મદદ કરી છે. કોંગ્રેસે માત્ર જુઠા વાયદા કર્યા છે.