રાજકોટમાં 24 કલાકમાં 10 દર્દીના કોરોનાથી મોત થયા છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11 હજાર 500ને પાર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 800થી વધુ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ટેસ્ટીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં કોવિડની ક્ષમતા વાળા 1800થી વધુ બેડ ખાલી છે.
ગુજરાતમાં 4 તબક્કામાં વેક્સિન આપવામાં આવશે- રૂપાણી
દેશમાં વેક્સિન ઝડપથી આવી રહી છે તેવા સંકેત મળી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં કોલ્ડ ચેઈન તેમજ લાભાર્થીઓની યાદી બનાવાઈ છે. અમરેલીના ચાવંડમાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ચાર તબક્કામાં રસી અપાશે તેવી મહત્ત્વની જાહેરાત કરી છે.વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ‘વડાપ્રધાન થોડા જ સપ્તાહોમાં વેક્સિન લાવવા માટે સતત પ્રયત્નશીલ છે ગુજરાતે વેક્સિન માટે પૂરી તૈયારી કરી લીધી છે. સ્ટોરેજ ફેસિલિટી હોય કે કોલ્ડ ચેઈન બધું જ તૈયાર છે. જેને વેક્સિન આપવાની છે તેનો પણ ડેટા છે. આ વેક્સિન ચાર તબક્કામાં અપાશે. સૌથી પહેલા હેલ્થ વર્કર જેવા કે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને અપાશે.
શહેરમાં કેસ ઓછા હોય ત્યારે વળી ગ્રામ્યના કેસમાં ઉછાળો આવે છે
રાજકોટમાં જિલ્લા પંચાયત ગ્રામ્ય તેમજ નગરપાલિકા વિસ્તારના કોરોનાના આંક જાહેર કરે છે, જ્યારે શહેરી વિસ્તાર માટે મહાનગરપાલિકા આંક જાહેર કરે છે. આ બંને વિસ્તારો અલગ અલગ છે છતાં કોરોનાના આંકડાઓમાં સમાનતા જોવા મળી રહી છે, જે ઘણી શંકાઓ જન્માવે છે. જેમ કે જે દિવસે શહેરમાં કોરોનાના કેસ વધુ આવ્યા હોય તે જ દિવસે જિલ્લા પંચાયતે જાહેર કરેલા ગ્રામ્યના કેસ પાછલા દિવસ કરતા ઓછા થાય છે. જે દિવસે શહેરમાં કેસ ઓછા હોય ત્યારે વળી ગ્રામ્યના કેસમાં ઉછાળો આવે છે.