ચંદીગઢ, તા. 20 જુલાઇ 2019, શનિવાર
પંજાબ સરકારમાં મંત્રી રહેલા નવજોત સિંહ સિધ્ધુના મંત્રાલયમાંથી મહત્વની ફાઈલો ગાયબ થઈ ગઈ છે. જેમાં 1144 કરોડ રૂપિયાના લુધિયાણા સિટી સેન્ટરના ગોટાળાની ફાઈલોનો પણ સમાવેશ થાય છે.
સિધ્ધુએ પંજાબ સરકારના પર્યટન અને સાંસ્કૃતિક મંત્રી તરીકે રાજીનામુ આપી દીધુ છે અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંઘે તે સ્વીકારી પણ લીધુ છે. જોકે, આ દરમિયાન સિધ્ધુના મંત્રાલયમાંથી ફાઈલો ગાયબ થવાનો મામલો તૂલ પકડી રહ્યો છે.
આ મામલામાં વહિવટીતંત્ર નવજોતસિંહ સિધ્ધુનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરી રહ્યુ છે. લુધિયાણા સિટી સેન્ટરના ગોટાળાના મામલામાં આ પહેલા મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ, તેમના પુત્ર રણઈંદર સિંહ સહિતના લોકોને વિજિલન્સ બ્યૂરોએ ક્લીન ચીટ આપી હતી.
કેપ્ટન અમરિન્દરે સિધ્ધુ પાસેથી પર્યટનમંત્રાલય લઈ લીધુ હતુ અને રિન્યુએબલ એનર્જી મંત્રાલય આપ્યુ હતુ. જોકે, સિધ્ધુએ આ વિભાગનો ચાર્જ લીધો નહોતો અને બાદમાં 14 જુલાઈએ રાજીનામુ આપી દીધુ હતુ.