લાહોર: મુંબઈ હુમલાનો આરોપી આતંકી હાફિઝ સઈદ પર કડક કાર્યવાહી થઈ રહી છે. બુધવારે પાકિસ્તાન કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે હાફિઝ અને તેના અંગત 12 લોકો વિરુદ્ધ ટેરર ફન્ડિંગના 23 કેસ દાખલ કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ લોકો ટ્રસ્ટ દ્વારા રકમ ભેગી કરીને તેનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કરતા હતા. ભારતના પ્રયત્નો પછી હાલ પાકિસ્તાન સરકાર પર આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું વૈશ્વિક દબાણ છે.
લાહોર સહિત ત્રણ શહેરોમાં 23 કેસ દાખલ
- કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે, જમાત-ઉદ-દાવા અને તેમના ખાસ લોકો આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે પાંચ ટ્રસ્ટનો ઉપયોગ કરી રહ્યા છે. હાફિઝ સઈદ જમાતનો પ્રમુખ છે. જમાત સિવાય એફઆઈઆરમાં લશકર-એ-તોઈબા અને ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન (એફઆઈએફ)ના ટ્રસ્ટ સાથે જોડાયેલા નેતાઓના નામ સામેલ છે. લાહોર સહિત ત્રણ અલગ-અલગ શહેરોમાં 23 કેસ દાખલ કરવામાં આવ્યા છે
- સીટીડીના જણાવ્યા પ્રમાણે, તપાસમાં જાણવા મળ્યું છે કે, જમાત, લશ્કર અને એફઆઈએફ તેમના ટ્રસ્ટ દ્વારા પૈસા ભેગા કરે છે. ત્યારપછી આ રકમનો ઉપયોગ આતંકીઓની મદદ માટે કરે છે. ટ્રસ્ટમાં અલ-અનફાલ, દાવત-અલ-ઈરશાદ, અલ હમદ, અલ મદીના અને મૌજ બિન જબલના નામ સામેલ છે. દરેક 23 કેસની સુનાવણી આતંકી નિરોધી કોર્ટ કરશે.
જમાત અને એફઆઈએફ કાર્યાલય સીલ
આ પહેલા માર્ચમાં પાકિસ્તાની એજન્સીઓએ લાહોરમાં આવેલી જમાત અને એફઆઈએફના કાર્યાલયને સીલ કરી દીધું છે. આ સંગઠન સાથે જોડાયેલા 120 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
વૈશ્વિક આતંકી છે હાફિઝ સઈદ
આતંકી હાફિઝ સઈદ 26/11 મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. તે જમાત દ્વારા તેના આતંકી સંગઠન લશકર-એ-તોઈબા માટે પૈસા ભેગા કરે છે. ત્યારપછી ભારતમાં હુમલા માટે આતંકીઓને ટ્રેનિંગ આપે છે. અમેરિકા 2012માં હાફિઝ સઈદને વૈશ્વિક આતંકી જાહેર કરી ચૂક્યું છે. તેના ઉપર 10 મિલિયન ડોલર (અંદાજે 69 કરોડ રૂપિયા)નું ઈનામ પણ મુકવામાં આવ્યું છે.